IPL-2021 ટુર્નામેન્ટની બાકીની મેચો UAEમાં યોજાશેઃ BCCI

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ઓનલાઇન મીટિંગ (AGM)માં નિલંબિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021) ની બાકી મેચોને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAEમાં કરાવવાનો નિર્ણય લીધો છે. ઓનલાઇન બેઠકમાં સામેલ બધા સભ્યોએ સર્વસંમતિથી IPLને ફરી શરૂ કરવા માટે સહમતી વ્યક્ત કરી હતી. કોરોનાને લીધે ચોથી મેએ IPLની બચેલી મેચોને સ્થગિત કરવામાં આવી હતી.

આ સિવાય T-20 વર્લ્ડ કપના આયોજનના નિર્ણય પર ICCને સમય વધારવાની BCCIએ અપીલ કરી હતી. જોકે ઓક્ટોબર-નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થવાનું હતું, પણ દેશમાં કોરોનાની સ્થિતિને જોતાં BCCIએ T-20 વર્લ્ડ કપનું આયોજન સ્થળ માટે ICC સાથે વાતચીત કરવાનું હતું. IPL 2021ની હજી 31 મેચો રમાવાની બાકી છે. જ્યારે ટુર્નામેન્ટ રોકવામાં આવી ત્યારે 29 મેચ થઈ હતી.

કોરોના વાઇરસના જોખમને જોતાં BCCIએ ટુર્નામેન્ટ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી હતી. IPL ટુર્નામેન્ટ દરમ્યાન આશરે 11 ક્રિકેટરો કોરોના સંક્રમિત થયા હતા. જેથી BCCIએ ટુર્નામેન્ટ સ્થગિત કરી હતી. સૌથી પહેલાં KKRના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના સંક્રમિત થયા હતા. એ બે ક્રિકેટરો પછી અન્ય ટીમોના ક્રિકેટરો કોરોના સંક્રમિત થયા હતા, જેથી BCCIએ ટુર્નામેન્ટને સ્થગિત કરવાની ફરજ પડી હતી.

IPL 2021ની બાકી બચેલી મેચોનું આયોજન 19 અથવા 20 સપ્ટેમ્બરથી થાય એવી શક્યતા છે. ફાઇનલ મેચ 10 ઓક્ટોબરે રમાશે.