રવિ શાસ્ત્રીએ ધોનીના નિવૃત્ત થવા વિશેની અફવાઓનું ખંડન કર્યું

લંડન – હેડિંગ્લી, લીડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચ પૂરી થયા બાદ પેવિલિયનમાં પાછા ફરતી વખતે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને અમ્પાયરો પાસેથી બોલ લેતો બતાવી વિડિયો ક્લિપ્સથી એવી અફવા ઉડી છે કે ધોની વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃત્ત થઈ રહ્યો હોવાનો આ નિર્દેશ છે.

પરંતુ, ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ અફવાઓનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે આ બધો બકવાસ છે. એમએસ ક્યાંય જવાનો નથી.

શાસ્ત્રીએ કહ્યું કે 45 ઓવર નખાઈ ગયા બાદ બોલની હાલત કેવી થઈ જાય છે એ ભારતના બોલિંગ કોચ ભરત અરૂણને બતાવવા માટે ધોનીએ એ બોલ અમ્પાયરો પાસેથી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. એ 2019માં ઈંગ્લેન્ડ-વેલ્સમાં સંયુક્ત રીતે યોજાનાર આઈસીસી વર્લ્ડ કપમાં રમશે એવી ધારણા છે.