પાર્થિવ પટેલ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થયો

અમદાવાદઃ વિકેટકીપર અને ડાબોડી બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટની રમતની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની આજે જાહેરાત કરી દીધી છે. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં પાર્થિવે લખ્યું છે કે, હું મારી 18-વર્ષ લાંબી ક્રિકેટ સફર પર હવે પડદો પાડી દઉં છું.

પાર્થિવે 17 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 2002માં ઈંગ્લેન્ડ સામે ઈંગ્લેન્ડમાં તે ટેસ્ટ સિરીઝ હતી, જેમાં રમીને પાર્થિવે ટીમ ઈન્ડિયા વતી રમવાનું શરૂ કર્યું હતું. કારકિર્દી દરમિયાન એ 25 ટેસ્ટ, 38 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. તે છેલ્લે 2018ના જાન્યુઆરીમાં જોહાનિસબર્ગમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો, જેમાં ભારત જીત્યું હતું.

ભારત વતી રમવા ઉપરાંત પાર્થિવે 2015માં વિજય હઝારે ટ્રોફી સ્પર્ધામાં ગુજરાતનું નેતૃત્ત્વ કર્યું હતું. 2016માં રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં એણે મુંબઈ સામે 143 રન કર્યા હતા અને ગુજરાતને હાઈએસ્ટ સફળ રન-ચેઝવાળો સ્કોર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.