નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દિવાકરે વિશ્વ સ્તરની એક ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે 2017માં ધોની સાથે કરાર કર્યો હતો. તે તેની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયો છે. ધોનીએ રૂ. 15 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
આ કરારમાં અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝ ફી ચૂકવવા અને નફો શેર કરવા માટે બંધાયેલા હતા, પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. ઘણા પ્રયત્નો છતાં કરારના નિયમો અને શરતોની અવગણના કરવામાં આવી હતી. પરિણામે મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ અરકા સ્પોર્ટ્સને આપેલો ઓથોરિટી લેટર રદ કર્યો હતો.આ સિવાય મહેન્દ્ર સિંહ ધોની વતી અરકા સ્પોર્ટ્સને ઘણી કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. રિપોર્ટ પ્રમાણે વિધિ એસોસિએટ્સના માધ્યમથી ધોનીનું પ્રતિનિધિત્વ કરનાર દયાનંદ સિંહે દાવો કર્યો છે કે અરકા સ્પોર્ટ્સે તેમની સાથે છેતરપિંડી કરી છે. જેના કારણે રૂ. 15 કરોડથી વધુનું નુકસાન થયું છે.
મહેન્દ્ર સિંહ ધોની તાજેતરમાં દુબઈમાં પોતાનું નવું વર્ષ વિતાવ્યા બાદ સ્વદેશ પરત ફર્યો હતો. ધોની તેના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. પ્રવાસ દરમિયાન ધોની સાથે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ જોવા મળ્યો હતો. ધોનીએ દુબઈમાં તેના મિત્રો અને પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી પણ કરી હતી.
