‘ભૂતકાળને-છોડો, રવિવારે અમે ભારતને હરાવીશું’: બાબર આઝમ

દુબઈઃ આઈસીસી T20 વર્લ્ડ કપ-2021માં 24 ઓક્ટોબરના રવિવારે સુપર-12 રાઉન્ડમાં ગ્રુપ-2ની મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો છે. આ મેચ પૂર્વે પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે એવી આશા વ્યક્ત કરી છે કે તેની ટીમ વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ટીમને હરાવશે. ઉલ્લેખનીય છે કે, T20 અને 50-ઓવરોવાળી ફોર્મેટની વર્લ્ડ કપ સ્પર્ધાઓમાં ભારતીય ટીમ હજી સુધી પાકિસ્તાન સામે એકેય વાર હારી નથી.

રોમાંચક મુકાબલા પૂર્વે તે વિશે મંતવ્યો જણાવવાનું કહેતાં, બાબર આઝમે કહ્યું કે, ‘મારી ટીમ ભૂતકાળમાં શું બન્યું એની પર ધ્યાન આપતી નથી. અમે તો રવિવારે ભારતીય ટીમને હરાવવાના નિશ્ચય સાથે સારી ગેમ રમીશું. જ્યારે તમે કોઈ મોટી ટુર્નામેન્ટમાં રમવા ઉતરો ત્યારે તમારો આત્મવિશ્વાસ જ મહત્ત્વનો બની જાય છે. એક ટીમ તરીકે અમારો આત્મવિશ્વાસ અને જુસ્સો ખૂબ ઊંચો છે. ભૂતકાળને ભૂલી જાવ, અમે માત્ર ભવિષ્ય ઉપર જ લક્ષ કેન્દ્રિત કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમે સરસ રીતે સજ્જ થયા છીએ અને મેચમાં સારી રમત રમીશું.’