મેં મારું 120-ટકા યોગદાન આપ્યું છે, આપતો રહીશઃ કોહલી

શારજાહઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની સામે IPLમાં કેપ્ટનશિપમાં છેલ્લી મેચ રમી હતી. જોકે એ પહેલાં UAEમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ-2021ના બીજા તબક્કાની ઉદઘાટન મેચમાં રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે આ સીઝન પછી તે RCBનું કેપ્ટનશિપ છોડી દેશે. કોહલીએ આ બેંગલોરને પ્લેઓફમાં પહોંચાડવા માટે આકરી મહેનત કરી હતી, પણ RCB IPL-2021થી બહાર થઈ હતી, કેમ કે ટીમ KKR સામે હારી ગઈ હતી.

આ IPLમાં ચાર વિકેટની હાર સાથે કોહલીનો કેપ્ટન તરીકે કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. જોકે RCBના કેપ્ટનપદે રહીને વિરાટ કોહલી એક વખત Iplની ટ્રોફી જીતી નથી શક્યો, પણ તેના ફેન્સને આશા છે કે તે આવનારા વર્ષોમાં એક ક્રિકેટર તરીકે ટીમને જિતાડવામાં સફળ રહેશે.

વિરાટ કોહલીએ મેચ પછી કહ્યું હતું કે મેં ટીમમાં એવું કલ્ચર તૈયાર કરવામાં પ્રયાસ કર્યા હતા, જેમાં યુવા ક્રિકેટરો આક્રમક રમત દાખવી શકે. મેં ટીમ ઇન્ડિયા માટે પણ આવા જ પ્રયાસ કર્યા છે. મેં મારું 120 ટકા યોગદાન ટીમને આપ્યું છે અને એક ખેલાડી તરીકે ક્રિકેટ રમીશ, ત્યાં સુધી આપતો રહીશ.

હવે આગામી ત્રણ વર્ષ માટે નવેસરથી ટીમ બનાવવાનો સમય છે. હું RCB માટે રમતો રહીશ.  2011માં RCBના કેપ્ટન તરીકે પદભાર ગ્રહણ કર્યા પછી કોહલીએ 140 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું, જેમાં 70 મેચ હારી અને 66 મેચ ટીમ જીતી , જ્યારે ચાર મેચ ડ્રો થઈ હતી અથવા કોઈ કારણવશ પરિણામ સુધી નહોતી પહોંચી.