ટીમ-ઇન્ડિયાના ‘હલાલ મીટના ડાયટ પ્લાન’ના અહેવાલો ધુમલે ફગાવ્યા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) વિવાદમાં ઘેરાયું છે. અહેવાલ મુજબ ખેલાડીઓને બીફ ખાવાની મંજૂરી નથી આપવામાં આવી. એ સાથે એ કહેવામાં આવ્યું છે કે જો કોઈને મીટ ખાવું હોય તો એ માત્ર હલાલ મીટ કાઈ શકે છે. આ પૂરા વિવાદ પર BCCIના ટ્રેઝરર અરુણ ધુમલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ખેલાડીઓના ખાણીપીણી પર કોઈ પણ પ્રકારનાં નિયંત્રણો નથી અને તેઓ જે કંઈ ખાવા ઇચ્છે એ ખાવા માટે સ્વતંત્ર છે.

તેમણે બધા અહેવાલોનું ખંડન કરતાં કહ્યું હતું કે ખેલાડીઓની આહાર યોજના પર ક્યારેય ચર્ચા નથી થઈ અને ના એને લાગુ કરવામાં આવી છે. BCCIએ કોઈ ખેલાડી અથવા ટીમના સ્ટાફે શું ખાવું કે શું ના ખાવું એ પર કોઈ નિર્દેશ આપવામાં આવ્યા. આ બધી અફવાઓ નિરાધાર છે.

તેમણે કહ્યું હતું કે ખેલાડીઓના ડાયટ પ્લાન વિશે ક્યારેય મેં સાંભળ્યું નથી અને મને એ નિર્ણય ક્યારે લેવાયો એ વિશે મને જાણ નથી. અમે ડાયટ પ્લાન સંબંધિત કોઈ ગાઇડલાઇન જારી નથી કરી. જ્યાં સુધી ખાણીપીણીની વાત છે, ત્યાં સુધી એ ખેલાડીઓની વ્યક્તિગત પસંદ છે-BCCIની એમાં કોઈ ભૂમિકા નથી.

BCCIના ટ્રેઝરરની સ્પટષ્તાથી હવે મામલો થાળે પડી શકે છે. ભારતે T20I સિરીઝમાં ન્યુ ઝીલેન્ડ સામે 3-0થી જીત હાંસલ કરી છે. હવે ટીમ ઇન્ડિયા ગુરુવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં રમવા માટે સજ્જ છે. આ ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ કાનપુરમાં રમાવાની છે.