આઈપીએલ પર કોરોના સંકટઃ વગર પ્રેક્ષકે રમાશે મેચ?

નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોના કારણે હવે આઈપીએલના આયોજન પણ સંકટ મંડરાઈ રહ્યું છે. દેશની સૌથી ચર્ચિત ટી-20 લીગના શરુ થવામાં હવે 20 દિવસ કરતા પણ ઓછો સમય બાકી છે, ત્યારે આવામાં હવે તેમના આયોજનને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, આઈપીએલની 13 મી સીઝનના આયોજનને રદ્દ કરવામાં આવી શકે છે અથવા તો તારીખોમાં બદલાવ થઈ શકે છે. આટલું જ નહી દર્શકોથી ભરચક રહેનારા સ્ટેડિયમ પણ સૂમસામ બની શકે છે કારણ કે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે આ વખતે મેચ બંધ દરવાજામાં કરાવવામાં આવશે. એટલે કે સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી ન આપવામાં આવે અને અધિકારીઓની ઉપસ્થિતીમાં માત્ર ખેલાડીઓ વચ્ચે મેચ કરાવવામાં આવશે અને તેનું પ્રસારણ કરવામાં આવે.

હકીકતમાં વિશ્વભરમાં ખતરનાક રુપ લઈ ચૂકેલા કોરોના વાયરસના કારણે લોકોને ભીડ વાળી જગ્યા અને એકબીજા સાથે અંતર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. જ્યારે આઈપીએલની મેચોમાં સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં દેશ-વિદેશના દર્શકો પહોંચે છે. આને ધ્યાનમાં રાખતા એક તરફ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ રમત-ગમત પ્રધાન સામે પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને કેટલીક ટીમોના સ્ટેક હોલ્ડર પણ બંધ બંધ દરવાજે મેચ કરાવવાની ભલામણ કરી રહ્યા છે.

જો કે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ આઈપીએલના આયોજનને નક્કી સમય પર જ કરાવવાની વાત કરી છે પરંતુ આમ છતા સ્વાસ્થ્ય મંત્રાલય બીસીસીઆઈ સાથે બેઠક કરશે અને અંતિમ નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે આ વખતે આઈપીએલ 29 માર્ચથી શરુ થશે કે જ્યાં ઉદ્ઘાટન મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આમને-સામને હશે.