વન-ડે ક્રિકેટ મંદગતિએ મરી-રહ્યું છેઃ ઉસ્માન ખ્વાજા

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયાના બેટર ઉસ્માન ખ્વાજાનું એવું માનવું છે કે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટ ધીમી ગતિએ અંત તરફ આગળ વધી રહી છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર અને ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે 50-ઓવરવાળી વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી એનાથી પોતાને કોઈ આશ્ચર્ય થયું નથી. સ્ટોક્સે એમ કહીને વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં રમવાનો બોજો એને અસહ્ય લાગ્યો છે.

ખ્વાજાએ કહ્યું કે, મારો અંગત અભિપ્રાય એવો છે કે તમારી પાસે ટેસ્ટ ક્રિકેટ છે, જે આ રમતમાં એક શિખર સમાન છે અને તમારી પાસે T20 ક્રિકેટ છે, જેની લીગ સ્પર્ધાઓ હવે તો દુનિયાભરમાં રમાઈ રહી છે અને એ ભરપૂર મનોરંજન કરાવે છે. દરેકને એ ગમે છે. ત્રીજી છે વન-ડે ક્રિકેટ. મારા માનવા મુજબ વન-ડે ક્રિકેટ મંદગતિએ મરી રહ્યું છે. હજી વર્લ્ડ કપ રમાય છે અને એ ખરેખર રોમાંચક હોય છે. એની મેચો જોવાનો આનંદ પણ આવે છે, પરંતુ, એને બાદ કરતાં 50-ઓવરોવાળી ક્રિકેટનું મહત્ત્વ હવે બહુ જ ઓછું થઈ ગયું છે.

ખ્વાજા ઓસ્ટ્રેલિયા વતી વન-ડે ક્રિકેટમાં છેલ્લે 2019માં વર્લ્ડ કપમાં રમ્યો હતો.