ઇન્ડિગો બાદ સ્પાઇસજેટના વિમાનમાં પણ ટેકનિકલ ખામી, પાઇલટને પરત ફરવાની ફરજ પડી

હૈદરાબાદથી તિરુપતિ જતી સ્પાઇસજેટની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યાને કારણે પરત ફરવું પડ્યું. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટે જણાવ્યું હતું કે હૈદરાબાદ-તિરુપતિ સ્પાઇસજેટ SG 2696 ફ્લાઇટ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થઈ હતી. જોકે, ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેને પરત ફરવું પડ્યું અને પ્લેન RGI એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. અગાઉ, ઇન્ડિગોના એક વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. ઇન્ડિગોની ફ્લાઇટ દિલ્હીથી લેહ જઈ રહી હતી, જેને ટેકનિકલ ખામી સર્જાતા દિલ્હી એરપોર્ટ પર ફરીથી લેન્ડ કરવી પડી હતી.

સ્પાઇસજેટે જણાવ્યું હતું કે વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું ન હતું. બેગેજ ડોર લાઇટ સમયાંતરે ઝબકતી રહી હતી. આવી સ્થિતિમાં પાયલોટે સાવચેતી તરીકે હૈદરાબાદ પાછા ફરવાનો નિર્ણય લીધો. બધા મુસાફરો સુરક્ષિત છે અને તેમને તિરુપતિ લઈ જવા માટે બીજા વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્પાઇસજેટે શું કહ્યું?

સ્પાઇસજેટે કહ્યું, “19 જૂન, 2025 ના રોજ, હૈદરાબાદ-તિરુપતિ ફ્લાઇટ ચલાવતા સ્પાઇસજેટ Q400 વિમાનમાં ટેક-ઓફ પછી AFT બેગેજ ડોર લાઇટ સમયાંતરે પ્રગટતી રહી. કેબિન પ્રેશર સમગ્ર સમય દરમિયાન સામાન્ય રહ્યું. સાવચેતી રૂપે પાઇલટ્સે હૈદરાબાદ પાછા ફરવાનો નિર્ણય લીધો. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું અને મુસાફરોને સામાન્ય રીતે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા. વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું ન હતું. તિરુપતિની આગળની સફર માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.”

ઈન્ડિગો વિમાનમાં ટેકનિકલ ખામી

દિલ્હીથી લેહ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઇટ 6E 2006 ને ટેકનિકલ કારણોસર દિલ્હી પરત ફરવું પડ્યું. ટેકઓફ કર્યા પછી, વિમાનમાં કેટલીક ટેકનિકલ ખામી જોવા મળી. ત્યારબાદ, તેને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. આ વિમાનમાં પાયલોટ અને ક્રૂ સભ્યો સહિત 180 લોકો સવાર હતા. ઈન્ડિગો ફ્લાઇટ 6E 2003 એ સવારે 6.30 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ઉડાન ભરી હતી. આ વિમાન લેહના કુશોક બકુલા રિમ્પોચી એરપોર્ટ પર ઉતરવાનું હતું. પરંતુ લેહ પહોંચતા પહેલા જ વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી. પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, પાયલટે સલામતીને ધ્યાનમાં રાખીને વિમાનને દિલ્હી પાછું લાવવાનો નિર્ણય લીધો.