રોહિત શર્મા સૌપ્રથમ વાર બન્યો વિશ્વનો નંબર વન વનડે બેટ્સમેન

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ વિશ્વનો નંબર વન વનડે બેટ્સમેન બની સૌથી વયસ્ક ભારતીય ક્રિકેટર બની ઇતિહાસ રચ્યો છે. તેણે વનડે કેપ્ટન શુભમન ગિલને પાછળ મૂકી રેન્કિંગમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનનો ખિતાબ પોતાને નામે કર્યો. મુંબઈનો 38 વર્ષીય આ ક્રિકેટરે કેરિયરમા સૌપ્રથમ વાર ICC વનડે બેટ્સમેનની રેન્કિંગમાં નંબર વન સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રોહિતે ભારતીય કેપ્ટન શુભમન ગિલને પાછળ રાખી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ભૂતપૂર્વ કેપ્ટન શર્માની હાલની ઉંમર 38 વર્ષ અને 182 દિવસ છે. રોહિતને નામે ગયા અઠવાડિયે 745 રેટિંગ પોઇન્ટ હતા. તેણે 23 ઓક્ટોબરે એડિલેડ ઓવલમાં ભારત–ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજા વનડેમાં 97 બોલમાં 73 રન બનાવ્યા હતા. જ્યારે 25 ઓક્ટોબરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલા ત્રીજી મેચમાં 125 બોલમાં 121 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.

રોહિત શર્માના બેટની બે મોટી ઇનિંગ્સે તેને 781 રેટિંગ પોઇન્ટ મેળવવામાં મદદ કરી. આ પહેલાં બેટ્સમેનની ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચનારા સૌથી વયસ્ક ખેલાડી મહાન સચિન તેંડુલકર હતો, જે 2011માં 38 વર્ષની ઉંમરે ટેસ્ટ ફોર્મેટની યાદીમાં ટોચ પર પહોંચ્યો હતો. હવે રોહિતે પોતાના સાથીઓને પાછળ છોડ્યા છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં શાનદાર દેખાવ કર્યો હતો. તેણે ત્રણ મેચમાં 101ની સરેરાશથી 202 રન બનાવ્યા, જેમાં ત્રીજા અને અંતિમ મેચમાં બનાવેલો નોટઆઉટ સદી પણ સામેલ છે. રોહિતે ઓપનિંગ કરતાં પોતાની અદભુત બેટિંગ માટે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ મળ્યો હતો.

તે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એમ.એસ. ધોની અને વર્તમાન કપ્તાન શુભમન ગિલ પછી વનડે રેન્કિંગમાં નંબર એક બનનાર પાંચમા ભારતીય ખેલાડી બની ગયા છે.