નવી દિલ્હીઃ દેશનાં ચાર રાજ્યોના 3000 ગામોમાં થયેલા વિકાસકાર્યોના વિશાળ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મજબૂત સ્થાનિક સંસ્થાઓ આત્મનિર્ભર ગામોની દિશામાં ગ્રામ્ય સુખાકારી અને વિકાસને આગળ ધપાવી શકે છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન ના સંયુક્ત અભ્યાસ ‘A Decade of Doing More: Evaluating Development Interventions in India’s Rural Frontiers’ નાં મુખ્ય તારણો આજે નવી દિલ્હીમાં યોજાયેલી “Towards an Atmanirbhar Gaon: What Lies Ahead for Rural India in the Next Decade” શીર્ષકવાળી રાઉન્ડટેબલ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા
આ અભ્યાસે ચાર ક્લસ્ટર્સ— બેલનગીર (ઓડિશા), મંડલા (મધ્ય પ્રદેશ), અડોની (આંધ્ર પ્રદેશ) અને રાધનપુર (ગુજરાત) — માં છેલ્લાં 10 વર્ષ દરમિયાન થયેલા હસ્તક્ષેપોના લાંબા ગાળાના પ્રભાવનું મૂલ્યાંકન કર્યું છે. 2100થી વધુ પરિવારોના જીવનસ્તર અને રોજગાર પરિવર્તનોને આધારે આ હસ્તક્ષેપોની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અહેવાલના પુરાવા આધારિત તારણો અને અનુભવો ડૉ. સૌમ્યા ભૌમિક (ORF) અને ડૉ. સજી એમ. કડાવિલ (રિલાયન્સ ફાઉન્ડેશન) દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.. અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે એકીકૃત અને સમુદાય કેન્દ્રિત વિકાસ મોડેલો સ્થાયી ગ્રામ્ય પરિવર્તનને પ્રોત્સાહન આપી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત બનાવી રહ્યા છે. અભ્યાસનું એક મુખ્ય તારણ એ છે કે લાંબા ગાળાના ગ્રામ્ય પરિવર્તન માટે એકીકૃત અભિગમ જરૂરી છે અને સમુદાય આધારિત સંસ્થાઓ, નાગરિક સમાજ, સંશોધન સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર અને સરકાર વચ્ચે મજબૂત સહકાર અનિવાર્ય છે.
નવી દિલ્હીમાં યોજાયેલી આ રાઉન્ડટેબલ બેઠકમાં નીતિનિર્માતાઓ, ડેવલપમેનટ પ્રેક્ટિશનર્સ અને ક્ષેત્રના નિષ્ણાતોએ ભારતના ગ્રામ્ય પરિવર્તન માટેના માર્ગો પર ચર્ચા કરી હતી. ORFના ઉપ પ્રમુખ ડો. નિરંજન ઘોષે કહ્યું હતું કે ખરેખર વિકાસ પરિસ્થિતિ આધારિત હોય છે, જે સ્થિરતા, સમાનતા અને ટકાઉપણામાં મૂળ ધરાવે છે, જ્યારે સંસ્થાઓ વિકસે છે, સમુદાયોને સશક્તિ મળે છે અને તમામ હિતધારકો સંકલિત રીતે સાથે કામ કરે છે, ત્યારે આપણે માત્ર ગરીબી નિવારણથી આગળ વધી લાંબા ગાળાના, પુનરાવર્તિત અને મજબૂત આત્મનિર્ભર માળખાં ઊભાં કરી શકીએ છીએ.
રિલાયન્સ ફાઉન્ડેશનના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર સુદર્શન સૂચિ સમુદાયના માલિકીભાવ અને સહકારના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગામ ત્યારે બને છે જ્યારે સમુદાયો પોતાનો અવાજ શોધે, સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવે અને સાથે મળીને ઉકેલો તૈયાર કરે. સહયોગ, સ્થિરતા અને સામૂહિક પ્રયાસો દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન આત્મનિર્ભરતાનો સ્તર સતત ઊંચો લાવવા પ્રતિબદ્ધ છે.




