સોમનાથની પવિત્ર ધરતી પરથી PM મોદીની ગર્જના

સોમનાથ મંદિરના નૂતન શિખરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રચંડ જનસભાને સંબોધિત કરી હતી. ભક્તિ અને રાષ્ટ્રવાદના સંગમ સમાન આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતની અતૂટ રાજકીય ઈચ્છાશક્તિ અને સાંસ્કૃતિક વિરાસતનો મહિમા ગાયો હતો.

સૃષ્ટિનો જયઘોષ: જય સોમનાથ

વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં જ પ્રભાસ પાટણની દિવ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે આ પવિત્ર ક્ષેત્ર એક અદભૂત પ્રભાથી ઝળહળી રહ્યું છે. મહાદેવનું સાક્ષાત્કાર સ્વરૂપ, આ સુંદરતા, આકાશમાંથી થતી પુષ્પવર્ષા અને વેદમંત્રોના ઉચ્ચારણ સાથે સાગરની લહેરોનો જયઘોષ સાંભળીને એવું લાગે છે કે આખી સૃષ્ટિ એકસાથે ‘જય સોમનાથ’ બોલી રહી છે. તેમણે ઉમેર્યું કે જે કાળના પણ કાળ છે તેવા દેવાધિદેવ મહાદેવની વિગ્રહ પ્રતિષ્ઠાના 75 વર્ષની ઉજવણી એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પણ ભારતની ચેતનાનો મહોત્સવ છે.

પોખરણ અને ભારતનું સામર્થ્ય

આજના દિવસનું ઐતિહાસિક મહત્વ સમજાવતા પીએમ મોદીએ 11 May, 1998 ના દિવસને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, “આજના જ દિવસે દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. તે સમયે આખી દુનિયાના દબાણ છતાં અટલજીના નેતૃત્વમાં ભારતે બતાવ્યું હતું કે અમારે માટે ‘રાષ્ટ્ર પ્રથમ’ છે. દુનિયાની કોઈ શક્તિ ભારતને દબોચી શકતી નથી કે કોઈ પણ પ્રકારના દબાણમાં લાવી શકતી નથી.” તેમણે યાદ અપાવ્યું કે 11 May ના પરીક્ષણો બાદ વિશ્વએ અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ 13 May ના રોજ ફરી 2 પરીક્ષણો કરીને ભારતે સાબિત કર્યું કે તેની ઈચ્છાશક્તિ લોખંડી છે.

સોમનાથ: આક્રમણો સામે અતૂટ આસ્થા

ઇતિહાસના પાનાઓ પલટાવતા વડાપ્રધાને જણાવ્યું કે, મેહમૂદ ગઝનવી અને અલાઉદ્દીન ખીલજી જેવા અનેક આક્રમણખોરોએ સોમનાથના વૈભવને મિટાવવા અનેક પ્રયાસો કર્યા. લૂંટારાઓ સોમનાથને માત્ર એક ભૌતિક માળખું માનતા હતા, પણ તેઓ ભૂલી ગયા હતા કે આ મંદિર માત્ર પથ્થરોનું નથી, પણ ભારતના વૈચારિક સામર્થ્યનું પ્રતીક છે. મંદિર વારંવાર તોડવામાં આવ્યું, પણ તે દરેક વખતે વધુ ભવ્યતા સાથે બેઠું થયું, કારણ કે આપણે ભૌતિક શરીરને નશ્વર અને આત્માને અવિનાશી માનનારા લોકો છીએ.

1947 ની આઝાદી અને 1951 ની પ્રાણ પ્રતિષ્ઠા

પીએમ મોદીએ ભાવુક થતા કહ્યું કે, જો 1947 માં ભારત રાજકીય રીતે આઝાદ થયું હતું, તો 1951 માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો. તેમણે કહ્યું કે સોમનાથના અવિનાશી હોવાનો ગર્વ આજે આ આધુનિક સ્વરૂપમાં દેખાઈ રહ્યો છે. શિવજીએ આપણને 1,000 વર્ષોની આ અમૃત યાત્રાનો અનુભવ કરવાની જે તક આપી છે, તે અત્યંત સૌભાગ્યની વાત છે.