વડા પ્રધાને રાજીનામું આપવું જોઈએઃ કોકરોચ જનતા પાર્ટીની માગ

નવી દિલ્હીઃ ડિજિટલ સંગઠન કોકરોચ જનતા પાર્ટી (CJP) શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં-પ્રદર્શન કરી રહી છે. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રદર્શનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. વિવિધ પરીક્ષા પેપર લીકની ઘટનાઓને કારણે યુવાનોમાં ફેલાયેલા અસંતોષને ધ્યાનમાં રાખીને આ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે અભિજિત દીપકે બોસ્ટનથી ભારત આવ્યા છે અને તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. દિલ્હી પોલીસે પ્રદર્શન માટે મંજૂરી આપી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ એરપોર્ટ પર પહોંચેલા દિલ્હી પોલીસના અધિકારીઓએ ત્યાં જ અભિજિત સાથે મુલાકાત કરીને તેમને પ્રદર્શનની પરવાનગી આપી હતી. ત્યાર બાદ તેઓ સીધા જંતર-મંતર પહોંચ્યા, જ્યાં પહેલેથી જ CJPના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતા. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X  પર પોસ્ટ કરીને કહ્યું હતું કે બધા કોકરોચ સીધા જંતર-મંતર પહોંચે, સંસદ માર્ગ પોલીસ સ્ટેશન નહીં. અમે સવારે 10 વાગ્યાથી શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરીશું. તેમણે સમર્થકોને સમયસર પહોંચીને આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. હાલ CJPના સમર્થકો જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. પાર્ટી દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ઉઠાવવામાં આવી રહી છે.

વડા પ્રધાને રાજીનામું આપવું જોઈએઃ  CJP

કોકરોચ જનતા પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરીને વડા પ્રધાનના રાજીનામાની માગ કરી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે  વડા પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. પ્રદર્શનકારીઓએ નારા લગાવતા કહ્યું હતું કે કોકરોચ આવી રહ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાન જઈ રહ્યા છે.જંતર-મંતર પર એકત્ર થયેલા સમર્થકો પરીક્ષા અનિયમિતતાઓ સામે કાર્યવાહી અને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારીની માગ કરી રહ્યા છે.