આંબેડકર, અખિલેશ યાદવના પોસ્ટર પર રાજકીય વિવાદ

લખનૌઃ સમાજવાદી પાર્ટીના હોડિંગમાં બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની અડધી તસવીર કાપી, તે ભાગમાં અકિલેશ યાદવની તસવીર મૂકવામાં આવી હોવાનું સામે આવતાં ઉત્તર પ્રદેશની રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ભાજપે આ મામલે ચારે બાજુથી હુમલો કર્યો છે. યોગી સરકારના મંત્રીઓથી લઈને સાંસદો અને ધારાસભ્યો સુધીના નેતાઓએ આને બાબા સાહેબ અને તેમના અનુયાયીઓનું અપમાન ગણાવ્યું છે. બીજી તરફ, ભાજપ સંગઠન દ્વારા આખા રાજ્યમાં, લખનૌ સહિત તમામ જિલ્લા મુખ્યાલયોએ વિરોધ પ્રદર્શન જાહેર કર્યું છે.

વાસ્તવમાં, સમાજવાદી પાર્ટી કાર્યાલય સામે એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે જેમાં એક તસવીરમાં અડધો ચહેરો બાબા સાહેબ ડો. આંબેડકરનો છે અને અડધો ચહેરો અખિલેશ યાદવનો છે. આ પોસ્ટર મામલે વિવાદ વધતો જાય છે.

ભાજપ સરકારના ડેપ્યુટી CM બ્રજેશ પાઠક, મંત્રી અસીમ અરુણ, વિધાન પરિષદના સભ્ય ડો. લાલજી પ્રસાદ નિર્મલ, રાજ્યસભા સભ્ય બૃજલાલ, ભાજપ વિધાયક મીનાક્ષી સિંહ અને પ્રો. શ્યામબિહારીલાલ સહિતના અનેક નેતાઓએ આ કૃત્યની કડક નિંદા કરી છે.

માયાવતીએ X (એક્સ-ટ્વિટર) પર પોસ્ટ કરી હતી કે ભારતીય બંધારણના નિર્માતા પ.પૂ. ડો. આંબેડકરજીનું અપમાન કદી સહન કરશો નહીં. ખાસ કરીને સપા અને કોંગ્રેસે ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો બસપા વિરોધમાં રસ્તે ઉતરી શકે છે.

ડેપ્યુટી CM બ્રજેશ પાઠકે કહ્યું હતું  કે આ સપાની દૂષિત માનસિકતા છે. બાબા સાહેબના જે રીતે અપમાન થયું છે, તે દેશની જનતા ક્યારેય સહન નહીં કરે અને તેનું નુકસાન પણ ભોગવવું પડશે. તેમણે એ પણ કહ્યું કે, સપાના નેતાઓએ અગાઉ પણ અનેક વખત બાબાસાહેબનું અપમાન કર્યું છે.