ટ્રમ્પ પર હુમલા બાદ પીએમ મોદીનું મોટું નિવેદન

8

વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન થયેલા ગોળીબાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવારની સુરક્ષા માટે રાહત વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીમાં હિંસા માટે કોઈ જગ્યા નથી. અહેવાલો મુજબ, હુમલાખોરે 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને એક સુરક્ષા અધિકારીના બુલેટપ્રૂફ જેકેટ પર ગોળી વાગી હતી. સીક્રેટ સર્વિસે હુમલાખોરને પકડી લીધો છે અને ટ્રમ્પે આ મામલે પત્રકાર પરિષદ યોજી સુરક્ષા એજન્સીઓનો આભાર માન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બનેલી આ ઘટના અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, “વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં સુરક્ષા સંબંધિત બનેલી ઘટના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત હોવાના સમાચાર જાણીને ખૂબ જ રાહત થઈ છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને સતત સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.” પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોમાં હિંસા એ અત્યંત નિંદનીય બાબત છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ઘટનાની ભયાનકતા વિશે પ્રાપ્ત અહેવાલો મુજબ, હુમલાખોર અત્યંત ઘાતક હથિયાર સાથે હોટલની અંદર ઘૂસ્યો હતો અને તેણે અંદાજે 4 થી 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. કાર્યક્રમમાં હાજર ચશ્મદીદોએ જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળતા જ સુરક્ષા દળો અને પોલીસ ટીમોએ ‘ગોળીબાર… ગોળીબાર’ એવી બૂમો પાડીને લોકોને સાવચેત કર્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં અગ્રણી રાજકારણીઓ, પત્રકારો અને જાણીતી હસ્તીઓ હાજર હતી, જેમનામાં ગોળીબારને કારણે ભારે અફરાતફરી અને ગભરાટ ફેલાઈ ગયો હતો.