નેપાળમાં PMની ભલામણ પર સંસદ ભંગ, 21 માર્ચે  નવી ચૂંટણી

કાઠમંડુઃ નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શુક્રવારે નવા નિયુક્ત વડા પ્રધાન સુશીલા કાર્કીની ભલામણ પર પ્રતિનિધિ સભાને ભંગ કરી હતી અને 21 માર્ચ, 2026S નવા સાંસદીય ચૂંટણીની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયની માહિતી મુજબ સંસદનું વિઘટન 12 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગ્યાથી અમલમાં આવ્યું.

નેપાળમાં 73 વર્ષીય પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કાર્કીએ શુક્રવાર મોડી રાત્રે નેપાળનાં પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતાં. આ સાથે જ સોશિયલ મિડિયા પર પ્રતિબંધને લઈને થયેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે કે.પી. શર્મા ઓલીએ પદ છોડ્યા બાદ ઘણા દિવસોથી ચાલતા રાજકીય સંઘર્ષનો અંત આવ્યો હતો.

રાષ્ટ્રપતિ પૌડેલે સમારોહ બાદ નેપાળનાં વડા પ્રધાન કાર્કીને શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે તમે દેશને બચાવવામાં સફળ થશો. આ સમારોહમાં નેપાળના મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા પ્રમુખો, રાજદૂત અને પૂર્વ વડા પ્રધાન બાબુરામ ભટ્ટારાઈ પણ હાજર હતા.

તેમની નિમણૂક થતાં કાઠમંડુમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો અને ‘Gen-Z’ના કાર્યકરો, જેમણે ઓલી સરકાર વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, તેઓ નિમણૂકનું સ્વાગત કરવા રાષ્ટ્રપતિ કાર્યાલયની બહાર એકત્ર થયા. તે જ સમયે, સોશિયલ મિડિયા પર કાર્કીની પ્રશંસા કરતી પોસ્ટનું પૂર આવ્યું હતું. એક યુઝરે લખ્યું હતું કે હા, આ મારું ઘર છે, મારું કોલેજ છે, હવે મારો દેશ પણ માતાના પ્રેમ, ત્યાગ અને સ્નેહથી ચાલશે.PM મોદીએ આપી શુભેચ્છા

વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે નેપાળની આંતરિક સરકારનાં વડા પ્રધાન તરીકે પદભાર સંભાળવા બદલ સુશીલા કાર્કીને અભિનંદન પાઠવ્યાં હતાં અને પડોશી દેશના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે “નેપાળની આંતરિક સરકારના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળવા બદલ માનનીય સુશીલા કાર્કીજીને હાર્દિક શુભકામનાઓ. નેપાળના ભાઈ-બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારત સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.