નવી દિલ્હીઃ પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે સ્વીકાર્યું છે કે પાછલા મહિને પહેલગામ આતંકવાદી હુમલા પછી જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ રાવલપિંચી અને પંજાબ પ્રાંતમાં બે એરપોર્ટ પર હુમલા થયા હતા, જેથી પાકિસ્તાનને ભારત સાથે સીઝફાયરની વિનંતી કરવા માટે મજબૂર થવું પડ્યું હતું.
ઓપરેશન સિંદૂરમાં ભારતના હુમલામાં થયેલા વિવિધ નુકસાનને ખોટા ઠેરવી રહેલા પાકિસ્તાને આ નિવેદન સાથે પોતે જ પોતાના જુઠાણાનો પર્દાફાશ કર્યો છે. ડારે એક મિડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ ભારતે ઝડપી કાર્યવાહી હાથ ધરી અમારા એરબેઝ પર હુમલો કર્યો હતો. કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેવા ભારતે સાત મેએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓનાં નવ ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. ભારતીય સેનાએ એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટ પર પણ હુમલો કર્યો હતો. જોકે આ દાવાને પાકિસ્તાન ફગાવતું આવ્યું હતું.
સાઉદી પ્રિન્સ મધ્યસ્થી બનવા તૈયાર હતા
ડારે આગળ જણાવ્યું હતું કે ભારતની એરસ્ટ્રાઈકની 45 મિનિટમાં જ અમને સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાનનો ફોન આવ્યો હતો. તેમણે અમને કહ્યું હતું કે જો તેઓ કહે તો તે જયશંકર સાથે વાત કરે કે પાકિસ્તાન આ તંગદિલી રોકવા તૈયાર છે. પ્રિન્સ પાકિસ્તાન તરફથી શાંતિ સ્થાપિત કરવા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરવા તૈયાર હતા. રિયાધે ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ દૂર કરવાના પ્રયાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઈસ્લામાબાદે યુદ્ધવિરામ માટે અમેરિકાનો પણ સંપર્ક સાધ્યો હતો.
ડારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને અન્ય ટોચના અધિકારીઓના દાવાની વિરુદ્ધ નિવેદન આપતાં સ્વીકાર્યું હતું કે તેમણે ભારતને મજબૂત જવાબ આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ બાદમાં યુદ્ધ વિરામ માટે માની ગયા હતાં. વડા પ્રધાન શરીફે પણ સ્વીકાર્યું હતું કે, ભારતે રાવલપિંડી એરપોર્ટ સહિત પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં બ્રહ્મોસ મિસાઈલ વડે હુમલા કર્યા હતા. શરીફે હાલમાં જ કહ્યું હતું કે ભારતે બ્રહ્મોસ મિસાઈલ વડે હુમલા કરી રાવલપિંડી એરપોર્ટ સહિત અન્ય સ્થળોને ટાર્ગેટ બનાવ્યા હતાં.
