પીડા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથીઃ PM મોદી

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ઘાયલોથી મળ્યા બાદ PM મોદીએ X પર પોસ્ટ   કરી લખ્યું  છે કે પીડા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું  કે અમદાવાદમાં દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે દુર્ઘટના પછી સતત કાર્યરત અધિકારીઓ અને ટીમો સાથે મુલાકાત કરી હતી. જેમણે આ અકલ્પનીય દુર્ઘટનામાં પોતાના નજીકના લોકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમારી સહાનુભૂતિ છે, એમ તેમણે જણાવ્યું હતું.

વડા પ્રધાનએ વધુમાં કહ્યું હતું  કે અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા સ્તબ્ધ થઈ ગયા છીએ. એટલા અચાનક અને હૃદયવિદારક રીતે ઘણા લોકોને જીવ ગુમાવવો પડ્યો, તે શબ્દોમાંથી પર છે. તમામ શોકસંતપ્ત પરિવારો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. અમે તેમનાં દુઃખ સમજીએ છીએ અને જાણીએ છીએ કે તેમના જીવનમાં ઊભી થયેલી ખાલી જગ્યા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ.”

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં PM મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા દર્દીઓ સાથે 10 મિનિટ સુધી મુલાકાત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા.

અમદાવાદમાં એર ઈન્ડિયાના મોટા વિમાન અકસ્માતમાં જ્યાં 240 કરતાં વધુ લોકોનાં મોત થયાં છે, ત્યાં એક મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો છે. આ જીવિત બચેલી વ્યક્તિની ઓળખ 39 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ તરીકે થઈ છે, જે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે અને વિમાનમાં 11A બેઠક પર બેઠેલા હતા. આ અંગે અમદાવાદના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે પુષ્ટિ કરી છે. ગુજરાત સરકારનાં સૂત્રો અનુસાર અત્યાર સુધી માત્ર એક જ મુસાફર જીવિત હોવાની માહિતી મળી છે. PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોસ્પિટલમાં જઈને ઘાયલ મુસાફરો સાથે મુલાકાત કરી હતી.