કોણ છે નિકિતા પોરવાલ? જેણે જીત્યો મિસ ઈન્ડિયા 2024નો તાજ

મુંબઈ: મધ્યપ્રદેશની નિકિતા પોરવાલને ફેમિના મિસ ઈન્ડિયા 2024 (Femina Miss India 2024)નો તાજ મળ્યો છે, જ્યારે રેખા પાંડે ફર્સ્ટ રનર અપ અને આયુષી ધોળકિયા સેકન્ડ રનર અપ રહી છે. 18 વર્ષની ઉંમરે ટીવી એન્કર તરીકે કારકિર્દી શરૂ કરનાર નિકિતા ઘણા વર્ષોથી નાટકો પણ લખી રહી છે. તે અભિનેત્રી પણ છે. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા 2023 નંદિની ગુપ્તાએ તેને તાજ પહેરાવ્યો, જ્યારે બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ મિસ ઈન્ડિયાનો ખિતાબ આપીને તેનું સન્માન કર્યુ હતું.

નિકિતા પોરવાલ મિસ ઈન્ડિયા 2024 બની

ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે બુધવારે રાત્રે મુંબઈમાં યોજાયો હતો. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીએ આ સમયગાળા દરમિયાન શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું અને રનવે પર પણ પોતાની સુંદરતા દેખાડી હતી. આ પ્રસંગે અભિનેત્રી નેહા ધૂપિયા, ડાન્સર રાઘવ જુયાલ અને અન્ય ઘણી હસ્તીઓ પણ હાજર રહ્યા હતાં. અનુષા દાંડેકર ફેમિના મિસ ઈન્ડિયા 2024ની જ્યુરી પેનલનો ભાગ બની હતી. ગ્રાન્ડ ફિનાલેમાં 30 રાજ્યોમાંથી ફાઇનલિસ્ટ ભાગ લેવા આવ્યા હતા. વિજેતા નિકિતા પોરવાલ હવે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

કોણ છે નિકિતા પોરવાલ?

મધ્યપ્રદેશની બ્યુટી ક્વીન જે ઉજ્જૈનની રહેવાસી છે. ફેમિના અનુસાર, નિકિતા પોરવાલે કાર્મેલ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી તેનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે અને હાલમાં તે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગળનો અભ્યાસ કરી રહી છે. તે કહે છે, ‘એવું જીવન જીવો જે મહત્ત્વનું છે, એવી ખોટ જે અનુભવાય છે.’ નિકિતા એક અભિનેત્રી પણ છે અને 18 વર્ષની ઉંમરથી કામ કરી રહી છે. તેણે ટીવી એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 60 થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે કૃષ્ણલીલા નાટક લખ્યું છે જે 250 પાનાનું છે. 2024 ફેમિના મિસ ઈન્ડિયા 16 ઓક્ટોબરે મુંબઈના ફેમસ સ્ટુડિયોમાં યોજાઈ હતી. તે પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધાની 60મી આવૃત્તિ હતી.

મિસ ઈન્ડિયા નિકિતા આ અભિનેત્રીની ફેન છે

મિસ ઈન્ડિયા 2024 વિજેતા નિકિતા પોરવાલે જણાવ્યું કે તે મિસ વર્લ્ડ અને બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની મોટી ફેન છે. તેણે ફેમિનાને કહ્યું, ‘તે મારા માટે સુંદરતા અને બુદ્ધિનું પ્રતીક છે જે ક્યારેય બદલાશે નહીં… મને તેના વિશે બધું જ ગમે છે. હું તેની પાસેથી ઘણું શીખી છું. એટલું જ નહીં, તે મારી પ્રેરણા છે.’