યસ બેન્ક ક્રાઇસિસઃ ED એ સુભાષ ચંદ્રાની પૂછપરછ કરી

નવી દિલ્હીઃ યસ બેન્કના પ્રમોટર રાણા કપૂરની સામે મની લોન્ડરિંગ કેસની તપાસના સિલસિલામાં એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. એસ્સેલ ગ્રુપની કંપની એ મોટી કંપનીઓની યાદીમાં છે, જેની લોનો NPAની યાદીમાં પહોંચી ગઈ છે. આ કંપનીઓએ યસ બેન્કને લોન લીધી હતી, જે પરત નથી કરી.

યસ બેન્કના 44 કંપનીઓ પાસે 34,000 કરોડનાં લેણાં

નાણાપ્રધાન નિર્મલા સીતારામને છઠ્ઠી માર્ચે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે યસ બેન્ક પાસેથી લોન લેવામાં અનિલ અંબાણી ગ્રુપ, આઇએલ એફએસ, ડીએચએફએલ અને વોડાફોન મુખ્ય કંપનીઓ છે. આ મોટી કંપનીઓના પ્રમોટરોને બોલાવવામાં આવ્યા છે. આ લોકોને આપવામાં આવેલી લોન NPA થઈ ગઈ છે. આ પહેલાં ED રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીથી કેટલાક કલાક પૂછપરછ કરી ચૂકી છે.

લોન આપવા માટે રૂ. 4,300 કરોડની લાંચ

યસ બેન્કના પ્રમોટર રાણા કપૂર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. EDએ રાણા અને તેમના પરિવાર  અને અન્ય પર લોન લાઈને રૂ. 4,300 કરોડની લાંચ લીધી હોવાનો આરોપ મૂક્યો છે. ત્યાર બાદ આ લોનો NPAમાં તબદિલ થઈ છે.

અનિલ સુભાષ પર રૂ. 22,000 કરોડ

યસ બેન્કે 10 મોટાં કોર્પોરેટ ગૃહોથી જોડાયેલી 44 કંપનીઓનને રૂ. 34,000 કરોડની લોન આપી હતી, જે NPAમાં ફેરવાઈ ગઈ છે. આમાં અનિલ અંબાણી ગ્રુપની નવ કંપનીઓને રૂ. 12,800 કરોડ તથા સુભાષ ચંદ્રાના એસ્સેલ ગ્રુપને રૂ. 8,400 કરોડની લોન આપી હતી.

નરેશ ગોયલની પણ ટૂંકમાં પૂછપરછ કરાશે

યસ બેન્કે જેટ એરવેઝને રૂ. 550 કરોડની લોન આપી હતી, જે NPAમાં ફેરવાઈ ગઈ છે. જેથી ED ટૂંક સમયમાં તેમને પણ પૂછપરછ માટે બોલાવે એવી શક્યતા છે.