કોરોના-રસી મૂકાવવી છે? આ દસ્તાવેજો તૈયાર રાખજો

નવી દિલ્હીઃ ભારતે દુનિયાની સૌથી મોટી રસીકરણ ઝુંબેશનો ગઈ કાલથી આરંભ કરી દીધો છે. પ્રથમ તબક્કા અંતર્ગત ગઈ કાલે પહેલા દિવસે 2 લાખ જેટલા લોકોને ગઈ કાલે કોરોના વાઈરસ (કોવિડ-19)ની રસી મૂકવામાં આવી છે. દુનિયાને હચમચાવી મૂકનાર કોરોના વાઈરસ રોગચાળાનો ભારતમાં અંત લાવવા માટેની આ દેશવ્યાપી ઝુંબેશનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આરંભ કરાવ્યો હતો. પ્રથમ કબક્કામાં 3 કરોડ જેટલા આરોગ્યકર્મીઓ અને કોરોના યોદ્ધાઓને દેશભરમાં સરકારી તથા પસંદગીકૃત ખાનગી હોસ્પિટલોમાં રસી મૂકવામાં આવી રહી છે. તેમનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવી રહી છે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુની વયના લોકો અને ગંભીર બીમારીઓથી પીડાતા 27 કરોડ લોકોને કોવિડ રસી આપવામાં આવશે.

જેમને કોરોના-વિરોધી રસી મૂકાવવી હોય તો એમણે પોતાનું નામ રજિસ્ટર કરાવવું ફરજિયાત છે. વ્યક્તિએ પોતાના વિસ્તારમાં નિશ્ચિત કરાયેલા રસીકરણ કેન્દ્રમાં જઈને નામ નોંધાવવાનું રહેશે અને ત્યાં જ જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. નામ રજિસ્ટર કરાયા બાદ વ્યક્તિને તેના મોબાઈલ ફોન નંબર પર મેસેજ આવશે. રજિસ્ટ્રેશન માટે આ દસ્તાવેજો તૈયાર રાખવા પડશેઃ (1) રસી મૂકાવવા ઈચ્છતી વ્યક્તિએ પોતાની ઓળખ સાબિત કરતું પોતાની તસવીર સાથેનું કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડ – જેમ કે આધાર કાર્ડ કે ડ્રાઈવિંગ લાઈસન્સ બતાવવું પડશે. (2) શ્રમ મંત્રાલયની યોજના અંતર્ગત ઈસ્યૂ કરાયેલું હેલ્થ ઈન્શ્યુરન્સ સ્માર્ટ કાર્ડ. PAN કાર્ડ, બેન્ક/પોસ્ટ ઓફિસ દ્વારા ઈસ્યૂ કરાયેલી પાસબૂક, પાસપોર્ટ, પેન્શન દસ્તાવેજ. (3) કેન્દ્ર સરકારી કે રાજ્ય સરકારી કે જાહેર ક્ષેત્રની કંપની કે ખાનગી લિમિટેડ કંપની જ્યાં નોકરી કરતા હો ત્યાંનું તમારા ફોટા સાથેનું આઈડેન્ટિટી કાર્ડ (4) મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગારન્ટી એક્ટ (મનરેગા) જોબ કાર્ડ, સંસદસભ્યો કે વિધાનસભ્યો કે વિધાનપરિષદના સભ્યોએ ઈસ્યૂ કરેલું સત્તાવાર આઈ-કાર્ડ.