ઘાત ટળીઃ દિલ્હી પછી રાજકોટ હીરાસર એરપોર્ટની કેનોપી પડી

રાજકોટઃ દિલ્હી એરપોર્ટ દુર્ઘટના પછી રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે એરપોર્ટની કેનોપી (કપડા કે કોઈ ધાતુની પાળથી ચાદર) તૂટી ગઈ છે. આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થવાના અહેવાલ નતી. અહીં વરસાદને કારણે જે ભાગની છત પડી છે એ એરપોર્ટની બહારનો ભાગ છે. અહીં યાત્રીઓને છોડવા અને લેવા માટે આવતા વાહનો ઊભા રહે છે. એને કારણે એરપોર્ટના વહીવટમાં કોઈ મુશ્કેલી નથી આવી. એનાથી ફ્લાઇટ્સની ઉડાનોમાં પણ કોઈ ફરક નથી પડ્યો. અત્યાર સુધી આ મામલામાં કોઈ સત્તાવાર માહિતી નથી આવી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 જેવી દુર્ઘટના થતાં-થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી પડી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ નથી થઈ. PM મોદીને હસ્તે જુલાઈ, 2023માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટના વિસ્તારનો રૂ. 1400 કરોડ કરતાં વધુ ખર્ચે કરવામાં આવ્યો હતો.

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના

શુક્રવારે વહેલી સવારે ત્રણથી ચાર કલાકમાં અંદાજે નવ ઈંચ વરસાદમાં  દિલ્હી જળબંબાકાર થઈ ગયું હતું. અહીં ભારે વરસાદને પગલે એરપોર્ટ પર છત તૂટી પડી હતી. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલીક ફ્લાઇટ્સ રદ કરી દેવી પડી હતી તેમ જ અનેક કારોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.