માલેગાંવ બોમ્બ વિસ્ફોટઃ ચાર આરોપીઓને હાઇકોર્ટ દ્વારા છોડી મુકાયા

મુંબઈઃ માલેગાંવમાં વર્ષ 2006માં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં હાઇકોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઇકોર્ટે આરોપી લોકેશ શર્મા, ધનસિંહ, રાજેન્દ્ર ચૌધરી અને મનોહર નરવરિયાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. મસ્જિદ પાસે થયેલા સિરિયલ વિસ્ફોટોમાં 37 લોકોનાં મોત થયાં હતાં.

NIA કોર્ટે પણ કર્યા હતા બરી

આ પહેલાં વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે 2008ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ સાત આરોપીઓમાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી (જેઓ શંકરાચાર્યને નામે પણ ઓળખાય છે) અને સમીર કુલકર્ણીનો સમાવેશ થતો હતો. કોર્ટે પૂરતા પુરાવાના અભાવને કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ (રોકથામ) અધિનિયમ (UAPA), શસ્ત્ર અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળના તમામ આરોપો હટાવ્યા હતા.

માલેગાંવમાં વિસ્ફોટ ક્યારે થયો હતો

આ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર, 2008એ થયો હતો, જ્યારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં ભિક્કુ ચોક મસ્જિદ પાસે એક મોટરસાઇકલમાં મૂકવામાં આવેલો બોમ્બ ફાટ્યો હતો. આ ઘટના રમજાનના પવિત્ર મહિના દરમિયાન અને હિંદુ તહેવાર નવરાત્રિ પહેલાં બની હતી. સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ ગણાતા આ શહેરમાં થયેલી આ ઘટનામાં અનેક લોકોનાં મોત થયાં હતાં અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ કેસની સુનાવણી દરમિયાન અભિયોજન પક્ષે 323 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે તેમાંના 34 સાક્ષીઓ પોતાના નિવેદનમાંથી ફરી ગયા હતા, જેને કારણે અભિયોજન પક્ષનો કેસ ઘણો નબળો પડી ગયો.

આ કેસની શરૂઆતની તપાસ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી દળ (ATS) દ્વારા કરવામાં આવી હતી, જેણે આરોપીઓને ધરપકડ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. વર્ષ 2011માં તપાસ NIAને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ 2016માં NIAએ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કડક આતંકવાદવિરોધી કાયદા હેઠળ પૂરતા પુરાવા ન હોવાનો ઉલ્લેખ કરી સાધ્વી પ્રજ્ઞા સહિત કેટલાક આરોપીઓ સામેના આરોપો દૂર કરવામાં આવ્યા હતા.