દેશમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધુ મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,59,170 નવા કેસ સામે આવ્યા છે.  આ સાથે સતત ચોથા દિવસે દેશમાં અઢી લાખથી વધુ કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1761 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,53,21,089 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,80,530 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,31,08,582  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,54,761 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 20,31,977 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે.

દેશમાં 12.71 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 12,71,29,113 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 32,76,555 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.