સરકારે ડિસેમ્બર સુધી સ્કૂલ બંધ રાખવાના સમાચારને ખોટા ગણાવ્યા

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે સરકારે દેશની બધી સ્કૂલોને 31 ઓગસ્ટ સુધી બંધ રાખી છે. 31 ઓગસ્ટ પછી પણ બંધ રાખવાનો અથવા ખોલવા પર સરકારે હાલમાં કોઈ નિર્ણય નથી લીધો. એક ન્યૂઝ એજન્સીએ કેન્દ્ર સરકાર વતી ન્યૂઝમાં એ દાવો કર્યો હતો કે સ્કૂલ ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ ન્યૂઝને સરકારે ખોટા જણાવ્યા છે. સરકારની ફેક્ટ ચેકની ટીમ અનુસાર આ સમાચાર સાચા નથી અને કેન્દ્ર સરકારે સ્કૂલ ખોલવા માટે અત્યાર સુધી કોઈ નિર્ણય નથી લીધો.
સપ્ટેમ્બરથી સ્કૂલ ખૂલવાના દાવા પણ ખોટા

કેટલાક દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે સપ્ટેમ્બરમાં સરકાર સ્કૂલ અને કોલેજ ખોલવાને લઈને સંમત થઈ શકે છે. અને પહેલી સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજ ખોલવામાં આવે એવી શક્યતા છે. જોકે સરકારે એ વાતનું પણ ખંડન કરતાં કહ્યું હતું કે સ્કૂલ-કોલેજ ખોલવાની કોઈ સમયમર્યાદા નક્કી નથી કરવામાં આવી. દેશમાં અનલોકનો આગામી તબક્કો એક સપ્ટેમ્બરથી શરૂ થશે અને ઓગસ્ટના અંતમાં ગાઇડલાઇન જારી થવાની શક્યતા છે.

અમેરિકામાં 97,000 બાળકો કોરોના સંક્રમિત

સ્કૂલ-કોલેજને લઈને ભારતમાં નહીં, બલકે અમેરિકામાં પણ એક મોટો વર્ગ વિરોધમાં છે. અમેરિકામાં સોમવારે જારી થયેલા અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધી અમેરિકામાં 97,000 બાળકો કોરોના સંક્રમિત છે. ત્યાર બાદ અમેરિકામાં સ્કૂલ ખોલવાનો પ્રસ્તાવ અટકાવી દેવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પછી ભારતમાં શિક્ષણ વિભાગે વ્યૂહરચના બનાવવાની તૈયારી કરી રહ્યો છે.