દિલ્હીમાં અક્ષરધામ મંદિર 13 ઓક્ટોબરથી ફરી ખુલ્લું મૂકાશે

નવી દિલ્હીઃ અત્રેનું સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર જાહેર જનતા માટે આવતી 13 ઓક્ટોબરથી ફરી ખુલ્લું મૂકવામાં આવશે.

કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા કેન્દ્ર સરકાર પ્રેરિત લોકડાઉન લાગુ કરાયા બાદ આ મંદિરને પણ આમ જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે અનલોક પ્રક્રિયા અંતર્ગત પરવાનગી મળતાં મંદિરને મુલાકાતીઓ અને દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવશે.

શરૂઆતમાં, સાંજે પાંચ વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. સાંજે 7.15 વાગ્યે મંદિરમાં દર્શન, વોટર શો, ગાર્ડન, ફૂડ કોર્ટ અને પુસ્તકો તથા ઉપહાર કેન્દ્રો પણ તમામ દર્શનાર્થીઓ, મુલાકાતીઓ માટે ઉપલબ્ધ રહેશે.

અભિષેક પૂજા અને તમામ નાના-મોટા એક્ઝિબિશન્સ અચોક્કસ મુદત માટે બંધ રહેશે.

કોવિડ-19 મહાબીમારીના પ્રોટોકોલ અનુસાર, મુલાકાતીઓએ મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે તેમજ સમગ્ર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત તમામ સ્વાસ્થ્ય નિયમોનું પાલન કરવાનું રહેશે.

પ્રવેશના સમયે થર્મલ સ્ક્રીનિંગ અને હાથની સફાઈ તમામ લોકોને માટે ફરજિયાત રહેશે. જે મુલાકાતીને શરીરમાં સામાન્ય તાપમાન હશે કે એમનામાં કોવિડ-19ના લક્ષણો જણાશે તો એને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં નહીં આવે.