મથુરા ઇદગાહ મસ્જિદમાં સર્વે પર સ્ટે મૂકવાનો ‘સુપ્રીમ’ ઇનકાર

નવી દિલ્હીઃ મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદને લઈને મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના 14 ડિસેમ્બરના આદેશ પર સ્ટે આપવાથી ઇનકાર કરી દીધો છે, જેમાં ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિથી અડીને આવેલી શાહી ઇદગાહ મસ્જિદમાં ત્રણ સભ્યોની ટીમ દ્વારા પ્રાથમિક સર્વેનો આદેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટમાં નવ જાન્યુઆરીએ આગામી સુનાવણી કરશે.

અલાહાબાદ હાઇકોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદ મામલે ચુકાદો આપ્યો હતો. કોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં વિવાદિત વિસ્તારમાં સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો. એ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આજે થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાઓ રજાઓ દરમ્યાન પણ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી શકે છે.એ અરજી ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન છે, ત્યાં સાત અન્ય લોકો દ્વારા એડવોકેટ હરિશંકર જૈન, વિષ્ણુશંકર જૈન, પ્રભાષ પાંડેય અને દેવકી નંદન દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ એ મસ્જિદની નીચે છે અને એવા કેટલાય પુરાવા છે, જે એ સાબિત કરે છે કે એ મસ્જિદ એક હિન્દુ મંદિર છે.જસ્ટિસ મયંકકુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટમાં શ્રીકૃષ્ણ વિરાજમાન છે- એને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં એડવોક્ટ કમિશનર દ્વારા સર્વે કરાવવાની માગ કરાવવામાં આવી હતી.આ અરજી પર સુનાવણી થયા પછી જસ્ટિસ મયંકકુમાર જૈને 16 નવેમ્બરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.