પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત વાવાઝોડાનો કાળો કહેર વરતાયો છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક જ વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાના કારણે જિલ્લામાં મસમોટું નુકસાન થયું છે. ભારે પવન અને કરા પડવાના કારણે 35 કાચા મકાનો ધરાશાઈ થયા છે, જેમાં અનેક લોકોને ઈજા થઈ છે. આ આફતમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે.
વાવાઝોડાની માહિતી મળતા જ વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે. તંત્ર દ્વારા ઉત્તર 24 પરગણામાં ટીમ ઉતારી દેવાઈ છે અને રાહત-બચાવ કામગીરી પુરજોશમાં શરુ કરી દેવાઈ છે. આફતમાં અનેક ઘરો ધરાશાઈ થતા લોકો મુશ્કેલીમાં આવી ગયા છે, એટલું જ નહીં તેઓ પાણી અને ભોજન સહિતની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, સ્થાનિકોએ કહ્યું કે, ‘વાવાઝોડું એટલું ઝડપી અને ભયંકર હતું કે, અમને બચવાનો પણ સમય ન મળ્યો. થોડી જ મિનિટોમાં અનેક ઘરોની છત ઉડી ગઈ, દિવાલો તૂટી ગઈ અને ખેતરોનો પાક નાશ પામ્યો. આ વાવાઝોડાએ બધું જ નષ્ટ કરી નાખ્યું. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક સંપૂર્ણ નાશ પામ્યો. અમારા કેટલાક પશુઓ પણ વાવાઝોડાની ઝપેટમાં આવતા મૃત્યુ પામ્યા.’ વાવાઝોડામાં સૌથી વધુ આર્થિક નુકસાન ખેડૂતોને થયું છે. અચાનક ઝડપી પવન આવતા ખેતરોમાં અનેક પાક બરબાદ થઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે, મંગળવારે લગભગ બપોરે 3.15 કલાકે વાવાઝોડું આવ્યું હતું.
