બ્રહ્મપુત્રા નદીમાં બે-બોટ અથડાઈ, અનેકનાં મરણની આશંકા

ગુવાહાટીઃ આસામના જોરહટ જિલ્લામાં નિમતી ઘાટ નજીક બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ સામસામી અથડાતાં અનેક જણ માર્યા ગયા હોવાનો ભય સેવાય છે. જોરહટ જિલ્લા વહીવટીતંત્રએ કહ્યું કે દુર્ઘટનામાં કેટલી જાનહાનિ થઈ છે તે વિશે હાલ કંઈ કહી શકે એમ નથી.

ખાનગી બોટ ‘મા કમલા’ નિમતી ઘાટથી નદી દ્વીપ મજુલી તરફ જતી હતી જ્યારે સરકારી માલિકીની બોટ ‘ટ્રિપકાઈ’ મજુલીથી આવતી હતી ત્યારે બંને સામસામી અથડાઈ હતી. તે અથડામણને કારણે ‘મા કમલા’ બોટ નદીમાં ઊંધી વળી ગઈ હતી અને ડૂબી ગઈ હતી. તે બોટમાં 120 જણ પ્રવાસ કરતા હતા. ઘણાં લોકો પાણીમાં પડી ગયા હતા. એમાંના ઘણાં લોકોને ‘ટ્રિપકાઈ’ બોટે બચાવી લીધા હતા. કેટલાક લોકો લાપતા થયા છે. એમને શોધવાની કામગીરી ચાલુ હતી. આ દુર્ઘટનાને આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વ સરમાએ પુષ્ટિ આપી છે. મુખ્ય પ્રધાન કાર્યાલયે કહ્યું છે કે સરમા આવતીકાલે નિમતી ઘાટની મુલાકાતે આવશે.

આ દુર્ઘટનાની જાણ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.