શિર્ડી એરપોર્ટને ફૂંકી મારવાની ધમકી મળતાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ

મુંબઈ – મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડીના એરપોર્ટને બોમ્બ વડે ફૂંકી મારવાની ધમકી મળતાં સમગ્ર વહીવટીતંત્ર સાબદું થઈ ગયું છે.

એરપોર્ટને ફૂંકી મારવાની ધમકી આપતો એક નનામો પત્ર મળ્યા બાદ સુરક્ષા અધિકારીઓએ ત્વરિત પગલાં લઈને એરપોર્ટ ખાતે તેમજ આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે.

મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વાઈસ-ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ કાકાનીએ કહ્યું કે અમને બે દિવસ પહેલા એક પત્ર મળ્યો હતો જેમાં એવી ચેતવણી આપવામાં આવી હતી કે એરપોર્ટની ઈમારતમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ અમે તરત જ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ તથા અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી હતી.

સાથોસાથ, સુરક્ષા એજન્સીઓએ સમગ્ર એરપોર્ટ પર ઝીણવટભરી ચકાસણી પણ કરી હતી, પણ કોઈ શંકાસ્પદ ચીજ મળી નહોતી તેથી એ ધમકી પોકળ હોવાનું જણાયું છે. તે છતાં એરપોર્ટ વહીવટીતંત્ર આ બાબતમાં જરાય ઢીલું છોડવા માગતી નથી. ધમકી ભલે ખોટી હતી, પરંતુ અમે એને ગંભીરતાથી ધ્યાનમાં લીધી છે અને અમારી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે તથા શિર્ડી એરપોર્ટ તેમજ આસપાસના પરિસરમાં સુરક્ષા બંદોબસ્ત વધારે મજબૂત બનાવી દીધો છે.

સ્થાનિક પોલીસે ધમકીભર્યા પત્રના સંદર્ભમાં અજાણી વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

શિર્ડી એરપોર્ટનું હજી ગયા વર્ષની 1 ઓક્ટોબરે જ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એનું ઉદઘાટન કર્યું હતું. સાઈબાબાએ સમાધિ લીધી એના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ લાંબી ચાલેલી શતાબ્દી ઉજવણી ગયા મહિને સમાપ્ત થઈ હતી.

હાલ આ એરપોર્ટ પરથી દરરોજ 10 (આવતી-જતી) ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવે છે, જે દેશના વિવિધ ભાગોમાંથી આવે છે. દરરોજ આશરે દોઢ હજાર જેટલા વિમાનપ્રવાસીઓ આ યાત્રાધામ ખાતે આવતા-જતા હોય છે.