ઉ.પ્ર.ની ‘પ્રતીકાત્મક કાંવડ યાત્રા’ સુપ્રીમ કોર્ટને નામંજૂર

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો ચાલુ છે એ વચ્ચે પ્રતીકાત્મક કાંવડ યાત્રા યોજવાના નિર્ણય પર ઉત્તર પ્રદેશની સરકારને પુનર્વિચાર કરવાની સુપ્રીમ કોર્ટે આજે એક વધુ અને છેલ્લી તક આપી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશના નાગરિકોનું આરોગ્ય અને જીવન જીવવાનો અધિકાર મૂળભૂત અને સર્વોપરી છે. ધાર્મિક સહિત બીજી તમામ લાગણીઓ આ મૂળભૂત અધિકારને આધીન છે. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે કાંવડ યાત્રા સાંકેતિક હશે, પરંતુ સુપ્રીમ કોર્ટ તેને એ માટે પણ પરવાનગી આપવા સહમત નથી.

ન્યાયમૂર્તિ રોહિન્ટન એફ. નરીમાનની આગેવાની હેઠળની બેન્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને આજે અલ્ટીમેટમ આપ્યું છે કે તે કાંવડ યાત્રા રદ કરે નહીં તો કોર્ટને આવતા સોમવારે આ વિશે આદેશ આપવો પડશે. પ્રથમ દ્રષ્ટિએ અમારું માનવું છે કે આ પ્રત્યેક નાગરિકને સ્પર્શતો મામલો છે અને ધાર્મિક સહિત બીજી તમામ લાગણીઓ જીવનના અધિકારને આધીન છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે કોરોના બીમારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોને હરિદ્વારમાંથી ગંગાજળ લઈ જવા માટે કાંવડિયાઓને પ્રવાસ કરવાની અનુમતી આપવી ન જોઈએ.