મધ્ય પ્રદેશમાં હનુમાનજીને રેલવેએ નોટિસ મોકલી

મુરૈનાઃ રેલવે વિભાગે હાલમાં મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના એક ગામમાં કથિત ભૂમિ અતિક્રમણને લઈને ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને નોટિસ મોકલી હતી. જોકે આ નોટિસ વાઇરલ થવા પર ભૂલનો અહેસાસ થતાં અધિકારીઓએ આ નોટિસને પરત લીધી હતી અને મંદિરના પૂજારીને નવી નોટિસ જારી કરી હતી.

આ મહિનાના પ્રારંભે જારી કરવામાં આવેલી પહેલી નોટિસ બજરંગ બલી, સબલગઢને સંબોધિત છે અને સરકારી ભૂમિથી હનુમાન મંદિરના માળખાને હટાવવા અથવા કાર્યવાહીનો સામનો કરવાની માગ કરે છે. રેલવેએ સાત દિવસની અંદર માળખાને દૂર કરવાની ચેતવણી આપી હતી.

ઝાંસી રેલવે મંડળના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે રેલવે માળખું દૂર કરવા માટે કાર્યવાહી કરે છે તો અતિક્રમણકારીઓના ખર્ચની ચુકવણી કરવાની રહેશે. આ નોટિસને હનુમાનજીના મંદિરમાં ચોંટાડવામાં આવી હતી.

ઝાંસી રેલ મંડળના જનસંપર્ક અધિકારી મનોજ માથુરે કહ્યું હતું કે પ્રારંભમાં નોટિસ ભૂલથી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે પૂજારીને આ સંબંધમાં નવી નોટિસ જારી કરવામાં આવી હતી. શ્યોપુર-ગ્વાલિયર બ્રોડગ્રેજ લાઇનના નિર્માણ માટે સ્ટ્રક્ચરને દૂર કરવાનું હતું. બે દિવસ પછી નવી નોટિસ મંદિરના પૂજારી હરિશંકર શર્માને નામે મોકલવામાં આવી હતી.