PM મોદી- શરદ પવાર વચ્ચે સંભવિત મુલાકાતથી રાજકીય ગરમાવો

નવી દિલ્હીઃ શરદ પવાર અને વડા પ્રધાન મોદી પહેલી ઓગસ્ટે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં મંચ શેર કરે એવી શક્યતા છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવવાના છે. બંને નેતાઓની સંભવિત મુલાકાત પહેલાં રાજકારણમાં ગરમાટો આવ્યો છે. વિરોધ પક્ષેઓ આ કાર્યક્રમ પર વાંધો ઉઠાવ્યો છે.

ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે INDIAની ત્રીજી બેઠક 25-26 ઓગસ્ટે મુંબઈમાં યોજાવા જઈ રહી છે, પરંતુ તે પહેલાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર પહેલી ઓગસ્ટે પુણેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરવાના છે. આ વાતને લઇ વિરોધ પક્ષના કેટલાક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે.

પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે  ગઈકાલે ઈન્ડિયા બ્લોકની ફ્લોર લીડર્સની મીટિંગમાં કેટલાક સભ્યોએ મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત કરવાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પવાર હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એનસીપી નેતા સાથે વાત કરે એવી શક્યતા છે અને તેમને કાર્યક્રમમાં હાજરી ન આપવા વિનંતી કરી શકે છે.

વિરોધ પક્ષોના કેટલાક નેતાઓને લાગ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં જ્યારે સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી પક્ષો ભાજપ સામે ટક્કર આપવા એકસાથે આવી રહ્યા છે ત્યારે વડા પ્રધાન સાથે સ્ટેજ શેર કરવાથી પવારનો બેકફાયર થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

વડા પ્રધાન મોદી સાથે મંચ શેર કરીને પવાર INDIAની છબિને નુકસાન પહોંચાડશે, જેણે તેને બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, અને લોકોમાં ખોટો સંદેશ પણ જશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.