છેવટે વડા પ્રધાને કર્યો ખુલાસોઃ આ તો મહિલા દિનની વાત હતી!!

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મિડિયાથી સંન્યાસ લઇ શકે છે એવી ગઇકાલ રાતથી વહેતી થયેલી અટકળોનો હવે અંત આવ્યો છે. ખુદ વડા પ્રધાન મોદીએ જ હમણાં ટ્વીટ કરીને પોતાની ગઇકાલ રાતની ટવીટને લઇને આ વાતનો ખુલાસો કર્યો છે. મોદી આઠમી માર્ચે મહિલા દિન નિમિત્તે અમુક મહિલાઓને પોતના સોશ્યલ મિડીયા એકાઉન્ટસ વાપરવા માટે આપશે. એ પોતે સંન્યાસ લેશે એ અટકળ ખોટી ઠરી છે.

વડા પ્રધાન મોદીએ હજી ગઈ કાલે જ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ સોશિયલ મિડિયા છોડવાનું વિચારી રહ્યા છે. આજે વડા પ્રધાન મોદીએ એક અન્ય ટ્વીટમાં આની પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ મહિલા દિવસે તેમનું સોશિયલ મિડિયા અકાઉન્ટ મહિલાઓને આપવા માગે છે.

વડા પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે આઠ માર્ચે મહિલા દિવસના અવસરે તેઓ પોતાનું અકાઉન્ટ મહિલાઓને આપશે, જેમનું જીવન આપણને પ્રેરણા આપતું હોય. વડા પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે કે આ મહિલા દિવસે હું મારું સોશિયલ મિડિયા અકાઉન્ટ એવી મહિલાને આપવા ઇચ્છું છું કે  જેમની જિંદગી આપણને પ્રભાવિત કરતી હોય, જેનાથી લાખ્ખા લોકોને પ્રેરણા મળતી હોય.

વડા પ્રધાને વધુમાં લખ્યું હતું કે જો તમે કોઈ એવી મહિલાને જાણતા તો હો તો તમે #SheInspiresUsની સાથે અમને એવી વાતો શેર કરો.

સોશિયલ મિડિયાના સ્ટાર છે વડા પ્રધાન મોદી

વડા પ્રધાન મોદીના ટ્વિટર પર 5.3 કરોડથી વધુ ફોલોઅર્સ છે. ફેસબુક પર વડા પ્રધાન મોટીના 4.4 કરોડ લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર વડા પ્રધાન  મોદી સ્ટાર છે અને અહીં તેમના 3.5 કરોડથી વધુ ફોલોઅર છે. યુટ્યુબ પર વડા પ્રધાન મોદીના 45 લાખથી વધુ ફોલોઅર્સ છે.