આસામમાં મોદી ગર્જયાઃ આતંકના અંધારાને અહીં નહી આવવા દઈએ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી નાગરિકતા સંશોધન કાયદા અને બોડો સમજૂતી પર હસ્તાક્ષર બાદ પહેલીવાર આસામના પ્રવાસે પહોંચ્યા હતા. વડાપ્રધાનએ મોદી કોકરાઝારમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધી સહિત વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે આટલો વિશાળ જનસાગર ક્યારેય જોવા મળ્યો નથી. રાહુલ ગાંધીએ બુધવારે ચૂંટણી રેલીમાં ડંડો મારનારી વાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ વિશાળ જનસભાને જોઈને લાગે છે કે માતાઓ અને બહેનોના આશિર્વાદથી બચી જઈશ. તેમણે કહ્યું કે આસામ ઘણીવાર આવ્યો. અહીં પણ આવ્યો, સમગ્ર ક્ષેત્રમાં મારી અવરજવર વર્ષોથી છે. અનેક રેલીઓ જોઈ. પરંતુ આટલી વિશાળ જનમેદની અગાઉ જોઈ નથી. આજે જે ઉત્સાહ, જે ઉમંગ હું તમારા ચહેરા પર જોઈ રહ્યો છું તે અહીના આરોનાઈ, અને ડોખોનાના રંગારંગ માહોલથી પણ વધુ સંતોષ આપનારું છે.

આઝાદી બાદ આ આ સૌથી મોટી રાજકીય રેલી છે. મેં મારા રાજકીય જીવનમાં આવી રેલી જોઈ નથી. તેમણે કહ્યું કે આસામમાં હવે કોઈ હિંસા થશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ આસામ સહિત સમગ્ર નોર્થ ઈસ્ટ માટે 21મી સદીમાં એક નવી શરૂઆત એક નવી સવાર અને નવી પ્રેરણાને વેલકમ કરવાનો છે. હવે આસામમાં અનેક સાથીઓએ શાંતિ અને અહિંસાનો માર્ગ સ્વીકાર કરવાની સાથે જ લોકતંત્રનો પણ સ્વીકાર કર્યો છે. ભારતના બંધારણનો સ્વીકાર કર્યો છે. હું બોડો લેન્ડ મૂવમેન્ટનો ભાગ રહી ચૂકેલા તમામ લોકોને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સામેલ થવા બદલ સ્વાગત કરું છું. પાંચ દાયકા બાદ પૂરા સૌહાર્દ સાથે બોડો લેન્ડ મૂવમેન્ટ સાથે જોડાયેલા દરેક સાથીની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને સન્માન મળ્યું છે.

તેમણે કહ્યું કે હવે કેન્દ્ર સરકાર, આસામ સરકાર અને  બોડો આંદોલન સાથે જોડાયેલા સંગઠનોએ જે પ્રકારે ઐતિહાસિક એકોર્ડ પર સહમતિ વ્યક્ત કરી છે જેના પર સાઈન કરી છે ત્યારબાદ કોઈ માગણી વધી નથી અને હવે વિકાસ એ પહેલી પ્રાથમિકતા છે અને છેલ્લી પણ. આ એકોર્ડનો લાભ બોડો જનજાતિની સાથે સાથે જ અન્ય સમાજના લોકોને પણ થશે. કારણ કે આ સમજૂતિ હેઠળ બોડો ટેરિટોરિયલ કાઉન્સિલના અધિકારોનો દાયરો વધારવામાં આવ્યો છે. વધુ સશક્ત કરવામાં આવ્યાં છે.

પીએમ મોદીએ કહ્યું કે એકોર્ડ હેઠળ BTADમાં આવતા ક્ષેત્રની મર્યાદા નક્કી કરવા માટે એક કમીશન બનાવવામાં આવશે. આ ક્ષેત્રને 1500 કરોડ રૂપિયાનું સ્પેશિયલ પેકેજ મળશે જેનો ઘણો મોટો લાભ કોકરાઝાર, ચિરાંગ, બક્સા અને ઉદાલગુડી જેવા જિલ્લાઓને મળશે. હવે સરકારનો પ્રયત્ન છે કે આસામ એકોર્ડની કલમ 6ને પણ જલદી લાગુ કરવામાં આવે. હું આસામના લોકોને આશ્વસ્ત કરું છું કે આ મામલા સંલગ્ન કમિટીનો રિપોર્ટ આવ્યાં બાદ કેન્દ્ર સરકાર વધુ ઝડપી કામગીરી હાથ ધરશે.

વડાપ્રધાને કહ્યું કે જે નોર્થ ઈસ્ટમાં હિંસાના કારણે હજારો લોકો પોતાના જ દેશમાં શરણાર્થી બનેલા હતાં તેમને હવે પૂરેપૂરું સન્માન અને મર્યાદા સાથે વસાવવાની નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. અમે નોર્થ ઈસ્ટના અલગ અલગ વિસ્તારોના ભાવનાત્મક પહેલુઓને સમજ્યાં, તેમની આશાઓને સમજી અને અહીં રહેતા લોકો સાથે ખુબ પોતાનાપણાથી તેમને પોતાના માનીને સંવાદ કર્યો. પહેલા નોર્થ ઈસ્ટના રાજ્યોને દિલ્હીથી ખુબ દૂર સમજવામાં આવતા હતાં. આજે દિલ્હી તમારા દરવાજે છે.