30મીએ પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે રામનગરી અયોધ્યા સજ્જ

અયોધ્યાઃ આવતી 30 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે અયોધ્યા નગર સજ્જ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે તૈયારીઓમાં કોઈ કચાશ રાખી નથી. એ દિવસે વડા પ્રધાન મોદી અયોધ્યામાં ‘મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ’નું ઉદઘાટન કરવાના છે. ઉદઘાટન કર્યા બાદ મોદી એરપોર્ટ નજીકના સ્થળે એક જાહેર સભાને સંબોધિત કરશે. ત્યાંથી તેઓ અયોધ્યા નગર તરફ જશે. એ માટે 15 કિલોમીટર લાંબા રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડશોના રૂટને ‘ધરમ પથ’ નામ આપવામાં આવ્યું છે. રોડશો રૂટ અયોધ્યા એરપોર્ટથી લતા મંગેશકર ક્રોસિંગ અને અયોધ્યા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે. સમગ્ર રૂટ પર અયોધ્યાના વિવિધ મઠ તથા મંદિરોના સાધુસંતો અને સ્થાનિક લોકો મોદીનું સ્વાગત કરશે. મોદી પર પુષ્પવર્ષા કરવામાં આવશે.

રોડશોમાં ત્રણ લાખ જેટલા લોકો સામેલ થાય એવી ધારણા છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર, સમગ્ર રૂટ પર ડેકોરેશન કરવામાં આવશે. રામાયણ કથાના પ્રકરણો અને ભગવાન શ્રી રામના જીવન સંબંધિત ઘટનાઓનું વર્ણન દર્શાવતા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે.