બળવાખોર જી-23 જૂથે કોંગ્રેસના વિભાજનની શક્યતા નકારી કાઢી

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીનાં મોવડીમંડળ સાથે મતભેદ ધરાવતા પક્ષના 23 નેતાઓનું જૂથ એટલે જી-23 અથવા ગ્રુપ ઓફ 23. હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી અને પાંચમા, પંજાબમાં કોંગ્રેસની સત્તા આમ આદમી પાર્ટી છીનવી ગઈ. આમ, કોંગ્રેસની બૂરી દશાને કારણે પક્ષના 23 વરિષ્ઠ નેતાઓ પક્ષની નેતાગીરીથી નારાજ થયા છે. તે છતાં, કોંગ્રેસનું વિભાજન થવાની સંભાવનાને તેમણે નકારી કાઢી છે. એમનું કહેવું છે કે જો વિભાજન થશે તો કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જી-23 નેતાઓની આગેવાની જમ્મુ અને કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદ લઈ રહ્યા છે. એમણે કહ્યું છે કોંગ્રેસ પાર્ટીએ નેતાગીરીના સ્થાનો પર ગાંધી પરિવારના વફાદારોને નિયુક્ત કરવા ન જોઈએ. જૂથમાં કપિલ સિબ્બલ, મનીષ તિવારી જેવા નેતાઓ પણ સામેલ છે.

ગઈ કાલે રાતે જી-23 નેતાઓ ગુલામ નબી આઝાદના ઘેર મળ્યા હતા. એમાં સામાન્ય જોવા મળતા ચહેરાઓ ઉપરાંત ત્રણ નવા નેતા પણ સામેલ હતા – મણિશંકર ઐયર, પ્રણીત કૌર (કેપ્ટન અમરિન્દર સિંહના પત્ની) અને શંકરસિંહ વાઘેલા.

વાઘેલા તો કોંગ્રેસ છોડીને તાજેતરમાં જ શરદ પવારની એનસીપી પાર્ટીમાં જોડાયા હતા, પણ હવે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાવા ઈચ્છતા હોય એવું લાગે છે.