ઓપરેશન લોટસઃ ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો આંચકો

જયપુરઃ કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીથી રાજ્યસભામાંથી ઉમેદવાર બનાવ્યા પછી કોંગ્રેસ પાર્ટીને વિધાનસભ્યો અને વરિષ્ઠ નેતાઓને તૂટવાનો ડર સતાવી રહ્યો છે. રાજસ્થાનમાં ચર્ચા ચાલી રહી છે કે ભાજપ ઓપરેશન લોટસ હેઠળ મોટા ઊલટફેર કરવાની તૈયારીમાં લાગ્યો છે. CWC સભ્ય અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી મહેન્દ્રજિત સિંહ માલવીય સોમવારે ભાજપમાં સામેલ થયા હતા. હવે અન્ય સાત જણ કોંગ્રેસનો હાથ છોડવાની ચર્ચા ચાલી રહી છે.

ભાજપનું લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ઓપરેશન લોટસ ચાલી રહ્યું હોવાની શક્યતા છે. જેને પગલે કોંગ્રેસના અડધો ડઝનથી વધુ વરિષ્ઠ નેતાઓ- વિધાનસભ્યો દિલ્હીમાં પહોંચ્યા છે. ગહેલોત સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા લાલચંદ કટારિયા, ઉદયલાલ આંજના અને રાજ્ય મંત્રી રહેલા રાજેન્દ્ર યાદવ સહિત સાતથી વધુ વિધાનસભ્યો-નેતાઓ કોંગ્રેસનો હાથ છોડવાની તૈયારીમાં છે. કોંગ્રેસ છોડનારા આ દિગ્ગજ નેતાઓમાં મોટા ભાગના ગહેલોતની નજીકના નેતાઓ છે.

કોંગ્રેસના આ નેતાઓનો ભાજપમાં પ્રવેશ એ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં કરી રહી છે, પરંતુ આ નેતાઓના ભાજપ પ્રવેશથી ભાજપના કેટલાક નેતાઓમાં તેમની વિરુદ્ધ ગણગણાટ શરૂ થઈ ગયો છે, કેમ કે જો તેઓ ભાજપમાં જોડાશે તો તેમને લોકસભા ચૂંટણીમાં ઉતારાશે. હવે આવામાં ભાજપના જે નેતાઓ લોકસભા ચૂંટણીમાં ટિકિટ માટેનું લોબીઇંગ કરી રહ્યા છે, તેમને વધુ મુશ્કેલી પડશે. તેથી આ નેતાઓ જરાય ખુશ નથી, પણ પક્ષનું કેન્દ્રી નેતૃત્વ જે નિર્ણય લેશે, એને સૌએ સ્વીકારવું પડશે, કેમ કે સ્થાનિક નેતાઓની નારાજગીને પક્ષમાં બહુ ધ્યાને લેવાતી નથી.