‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની દેશને જરૂરઃ મોદી

કેવડિયા (ગુજરાત): ‘દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી એ માત્ર વિચારવિમર્શનો મુદ્દો નહીં બલકે દેશની આવશ્યકતા છે અને આ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે,’ એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું. તેમણે રાજ્ય વિધાનસભાઓમાં અધ્યક્ષપદ સંભાળતા અધિકારીઓ (પ્રિસાઈડિંગ ઓફિસર્સ)ના 80મા અખિલ ભારતીય સંમેલનના સમાપન સત્રને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યું હતું. બે-દિવસીય સંમેલન બુધવારે શરૂ થયું હતું, જેનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘વન નેશન, વન ઇલેક્શન’ માત્ર ચર્ચાનો વિષય નથી, બલકે ભારતની આવશ્યકતા છે. દરેક મહિને ભારતમાં ક્યાંકને ક્યાંક ચૂંટણી થતી રહે છે, જેનાથી વિકાસ કાર્યો પર અસર પડે છે. આવામાં ‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દા પર મંથન કરવાની જરૂર છે. લોકસભા, વિધાનસભા તથા અન્ય ચૂંટણીઓ માટે માત્ર એક જ મતદારયાદી હોવી જોઈએ. આપણે મતદારયાદીઓ પાછળ સમય અને પૈસા શા માટે વેડફી રહ્યા છીએ?’ મોદીએ સંસદ અને વિધાનસભાઓના ડિજિટલકરણ ઉપર પણ ભાર મૂક્યો હતો અને આ દિશામાં પગલાં લેવા કહ્યું હતું. તેમણે કહ્યું કે આનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવાનો સમય આવી ગયો છે.

તેમણે કહ્યું હતું કે આપણા કાયદાની ભાષા બહુ સરળ અને સામાન્યજનને સમજમાં આવે એવી હોવી જોઈએ. એવી પ્રક્રિયા લાગુ કરવી જોઈએ કે જેવો આપણે જૂના કાયદામાં સુધારો કરીએ એટલે જૂનો કાયદો આપોઆપ રદ થઈ જાય. પ્રિસાઈડિંગ ઓફિસરોના રાષ્ટ્રીય સંમેલનની શરૂઆત 1921માં કરવામાં આવી હતી. આમ, આ તેનું શતાબ્દી વર્ષ છે.