દિલ્હીની નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરી ફાંસી

નવી દિલ્હીઃ વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતોનું ડેથ વોરંટ જારી કરી દીધું છે. આ ચારેયને 22 જાન્યુઆરી સવારે 7 કલાકે ફાંસી પર લટકાવવામાં આવશે. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટના જજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચારેય દોષીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન મીડિયાને બહાર રાખવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને દોષી મુકેશની માતા કોર્ટમાં રડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલામાં ચારેય દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને પહેલા જ ફાંસીની સજા આપવામાં આવી ચુકી છે.

ચારેય આરોપીઓને ફાંસીને સજાના એલાન બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, આજે અમારા માટે ખુબ મોટો દિવસ છે. અમે છેલ્લા 7 વર્ષથી લડત લડી રહ્યાં હતા. નિર્ભયાના માતાએ કહ્યું કે, ઝડપથી ચારેય આરોપીઓને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવે.

પટિયાલા હાઉસ કૉર્ટમાં દોષિતોનાં વકીલે દલીલ કરી કે તેઓ પોતાના ક્લાયન્ટને નથી મળી શક્યા. દોષિતોનાં વકીલે દાવો કર્યો કે તેમના ક્લાયન્ટને જેલમાં ટૉર્ચર કરવામાં આવ્યા છે. નિર્ભયાનાં દોષિતોએ કૉર્ટમાં નવી અરજી દાખલ કરી છે. દોષિતોનાં વકીલે કહ્યું કે, “તેમના ક્લાયન્ટ ક્યૂરેટિવ પિટિશન દાખ કરવા ઇચ્છે છે.” દોષિ મુકેશ તરફથી રજૂ થયેલા વકીલ એમ.એલ. શર્માએ કહ્યું કે, “તેમનો ક્લાયન્ટ સુપ્રીમ કૉર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા ઇચ્છે છે. તિહાડ જેલ ઑથોરિટીની રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે.”

કૉર્ટમાં સુનાવણી દરમિયાન નિર્ભયાનાં પરિવારે કૉર્ટથી માગ કરતા કહ્યું કે, “તમામ ચારેય દોષિઓની વિરુદ્ધ જલદીથી જલદી ડેથ વૉરંટ જાહેર કરી દેવામાં આવે.” નિર્ભયાનાં માતાનાં વકીલે કહ્યું કે, “ડેથ વૉરંટ બાદ પણ દોષિતોની પાસે તક હશે. દોષિતોની કોઈપણ અરજી ક્યાંય પણ પેન્ડિંગ નથી. આ કારણે કૉર્ટ ડેથ વૉરંટ જાહેર કરી શકે છે.” સરકારી વકીલે દલીલ આપતા કહ્યું કે, “નિષ્ણાતો અરજીની વિરુદ્ધ છે. સરકારી વકીલે કહ્યું કે દોષી ફક્ત ટાળવાની વાત કરે છે.”