‘મારી સામે ચૂંટણી લડી-બતાવો’: ઉદ્ધવને નવનીતનો પડકાર

મુંબઈઃ મહારાષ્ટ્રના અમરાવતી અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આજે પડકાર ફેંક્યો છે કે તેઓ એમની સામે કોઈ પણ ચૂંટણી લડી બતાવે. નવનીતકૌર હાલ મુંબઈની અદાલતી કસ્ટડીમાંથી જામીન પર છૂટ્યાં છે. અત્રે બાન્દ્રા (પૂર્વ) ઉપનગરમાં ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન માતોશ્રીની બહાર પોલીસ પરવાનગી વગર હનુમાન ચાલીસાનું પઠન કરવા બદલ નવનીતકૌર અને એમનાં અપક્ષ વિધાનસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ કરવામાં આવી હતી. રાણા દંપતીનો ગઈ 4 મેએ શરતી જામીન પર છુટકારો કરવામાં આવ્યો છે.

નવનીતકૌરે એવો દાવો પણ કર્યો છે કે મુંબઈની જનતા અને ભગવાન રામ શિવસેનાને મુંબઈમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાઠ ભણાવશે. નવનીતકૌરે એમ પણ કહ્યું છે કે પોતે મુંબઈમાં ચૂંટણી પ્રચાર કરશે અને શિવસેનાના ભ્રષ્ટાચારી શાસનનો અંત લાવવા માટે રામ ભક્તોને ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવતા શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 2019ના નવેમ્બરમાં મુખ્ય પ્રધાન બન્યા હતા. બાદમાં, 2020ના મે મહિનામાં એમણે મહારાષ્ટ્ર વિધાનપરિષદના સભ્ય તરીકે શપથ લીધા હતા. એ પહેલાં તેઓ રાજ્ય વિધાનમંડળના એકેય ગૃહના સભ્ય નહોતા.