મૂડીઝે ભારતનો GDP ગ્રોથ ફરી ઘટાડીને 5.3 ટકા અંદાજ્યો

નવી દિલ્હીઃ વિશ્વભરમાં ઝડપથી પ્રસરી રહેલા  કોરોના વાઇરસની અસરને પગલે રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે વર્ષ 2020 માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 5.3 ટકા કર્યો હતો. રેટિંગ એજન્સીએ ફેબ્રુઆરીના પાછલા અનુમાનની તુલનાએ 10 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો. આ પહેલાં મૂડીઝે 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 5.4 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. રેટિંગ એજન્સીએ સ્પષ્ટ કહ્યું હતું કે આવનારા દિવસોમાં કોરોના વાઇરસની અસર ભારતીય અર્થતંત્ર પર દેખાશે, કેમ કે આ રોગચાળાની ઔદ્યોગિક કામકાજમાં અડચણો આવશે.

વૈશ્વિક મંદીનું જોખમ વધ્યું

મૂડીઝે કહ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો જેટલો લાંબો ચાલશે એટલી વૈશ્વિક આર્થિક મંદીનું જોખમ વધુ રહેશે. એજન્સીએ કહ્યું હતું કે કેટલીય સરકારોએ અને કેન્દ્રીય બેન્કોએ નાણાકીય પેકેજ અને ધિરાણદરોમાં કાપ મૂકવા સહિતનાં અનેક પગલાં લીધાં છે.

આ પહેલાં મૂડીઝે ભારતનો આર્થિક વિકાસદર 6.6 ટકા અંદાજ્યો હતો, પણ હવે એ સતત ઘટતાં 1.3 ટકાનો કાપ મૂક્યો હતો. આ પહેલાં વર્ષ 2019માં દેશનો આર્થિક ગ્રોથ 5.3 ટકા રહ્યો હતો. જોકે વર્ષ 2018માં દેશનો જીડીપી ગ્રોથ 7.4 ટકા હતો.રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે ઘરેલુ વપરાશમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય નિકાસમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. જેથી ભારતીય અર્થતંત્રના ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડાની આશંકા છે. કોરોના વાઇરસની અસર જેટલી લાબી ચાલશે એટલી અર્થતંત્ર પર નકારાત્મક અસર પડશે, એમ એજન્સીએ કહ્યું હતું.