મુંબઈ-આગ્રા હાઈવે પર ભીષણ અકસ્માતમાં 12નાં મરણ

ધુળે (મહારાષ્ટ્ર): આજે સવારે મુંબઈ-આગ્રા હાઈવે પર એક કન્ટેનર ટ્રક અનેક વાહનો સાથે અથડાતાં 12 જણનાં મરણ થયા છે અને બીજાં 28 જેટલા લોકોને ઈજા થઈ છે. મહારાષ્ટ્ર હાઈવે પોલીસના જણાવ્યા મુજબ, તે અકસ્માત આજે સવારે લગભગ 10.45 વાગ્યે મુંબઈ-આગ્રા હાઈવે પર ધુળે જિલ્લાના પળાસનેર ગામ નજીક બન્યો હતો. ટ્રકમાં બ્રેક ફેઈલ થઈ ગઈ હતી જેને કારણે ડ્રાઈવર સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હતો. ટ્રકે બે મોટરસાઈકલ, એક કાર તથા એક અન્ય કન્ટેનર ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. તે ટ્રક બાદમાં હાઈવે પરની એક હોટેલમાં ઘૂસી ગઈ હતી અને ઊંધી વળી ગઈ હતી.

અકસ્માતમાં ભોગ બનેલાઓમાંના કેટલાક બસ સ્ટોપ પર બસની રાહ જોતાં ઊભાં હતાં. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક મધ્ય પ્રદેશમાંથી ધુળે તરફ જતી હતી.