CM કેજરીવાલની વિરુદ્ધ કેસ ચલાવવા માટે LGની મંજૂરી

નવી દિલ્હીઃ દિલ્હીની લિકરની નીતિ મામલે CM કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. CBIએ કથિત લિકર કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હીના ઉપ રાજ્યપાલ વીકે સક્સેના પાસેથી મંજૂરી લીધી છે. CBIએ શુક્રવારે સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની રાઉઝ એવન્યુ કોર્ટમાં કાર્યવાહીની મંજૂરી રજૂ કરી છે. હવે આ કેસની આગામી સુનાવણી 27 ઓગસ્ટે થશે.

લિકર નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ધરપકડ બાદ  26 માર્ચથી તે ન્યાયિક કસ્ટડીમાં છે. 26 જૂને CBIએ તેમની ભ્રષ્ટાચારના કેસમાં ઔપચારિક રીતે ધરપકડ કરી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી હતી અને CBIને જવાબ આપવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો.

CBIએ 28 જુલાઈએ લેફ્ટેનન્ટ ગવર્નરના સચિવાલયનો સંપર્ક કર્યો હતો જેથી CM કેજરીવાલ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 19 હેઠળ કેસ ચલાવવાની મંજૂરી મળે. જોકે  એ મંજૂરી મળી ગઈ છે.

CM કેજરીવાલને CM અને ED બંને દ્વારા લિકર નીતિ સંબંધિત કેસોમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે, જે પછીથી રદ કરવામાં આવ્યું છે.    CBIએ  સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે દારૂની નીતિ બનાવવાના તમામ મહત્વપૂર્ણ નિર્ણયો કેજરીવાલના આદેશ પર લેવામાં આવ્યા હતા. CBIએ કહ્યું હતું કે દારૂના કૌભાંડમાં તેની સંડોવણી દર્શાવતા પૂરતા પુરાવા છે. CBIએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં પોતાનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કર્યું છે.