કોલકાતા રેપ-હત્યા કેસઃ ડોક્ટરોને કામ પર પરત ફરવા CJIની અરજ

નવી દિલ્હીઃ કોલકાતાના RG કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની ટ્રેની ડોક્ટરના રેપ-હત્યા મામલે લોકોમાં ગુસ્સો છે. આ મામલે સુપ્રીમ કોર્ટેમાં CBIએ સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો. આ મામલે કોર્ટમાં CBIએ રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ઘટનાસ્થળે પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને એજન્સીએ ત્યાં સુધી કહ્યું હતું કે આ કેસમાં ઢાંકપિછોડો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

એજન્સીએ કહ્યું હતું કે હોસ્ટિપલના વહીવટ તંત્રનું વલણ ઉદાસીનભર્યું રહ્યું હતું. આ ઘટનાની સૂચના પીડિયાના પરિવારજનોને વિલંબથી આપવામાં આવી હતી. પરિવારને પહેલાં સુસાઇડના ખબર આપવામાં આવ્યા હતા. હત્યાને સુસાઇડ બતાવવાનો પ્રયાસ સંદેહ પેદા કરે છે. આ ઘટના પર પડદો નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. કોર્ટે પણ કહ્યું હતું કે પોલીસ ડાયરી અને પોસ્ટમોર્ટમના સમયમાં અંતર છે. આરોપીની મેડિકલ તપાસ પર પણ કોર્ટે સવાલો ઊભા કર્યા હતા.

કોલકાતા મામલે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે આ કેસ ચોંકાવનારો છે. અમે 30 વર્ષમાં આવો કેસ નથી જોયો. આ કેસ આઘાત આપનારો છે. બંગાળ પોલીસનો વ્યવહાર શરમજનક છે. કોર્ટે પંચનામાને લઈને પણ અનેક સવાલ ઊભા કર્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે જો કુદરતી મોત હતું તો પોસ્ટમોર્ટમ કેમ કર્યું? પોસ્ટમોર્ટમ પછી FIRથી આશ્ચર્ય થાય છે.સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને આશ્વાસન આપ્યું હતું કે તેમની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવશે, પરંતુ ડોક્ટરોએ ડ્યુટી પર પરત ફરવું પડશે, કેમ કે કેટલાય ગરીબ દર્દીઓ છે, જે બે-બે વર્ષ પહેલાં એપોઇન્ટમેન્ટ લે છે, તેમને સારવાર વગર પરત ના મોકલી શકાય. CJI ચંદ્રચૂડે વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોને અપીલ કરી હતી તે તેઓ તેમના કામ પર પરત ફરે.