કારગિલ વિજય-દિવસઃ ભારતે પાકના ઘૂસણખોરોને ખદેડી મૂક્યા હતા

નવી દિલ્હીઃ દેશ આજે-26 જુલાઈએ કારગિલ વિજય દેવસ ઊજવી રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને ત્રણે સેનાના વડાઓએ દેશના શહીદ વીર સપૂતોને અને સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજના દિવસે ભારતીય સૈનિકોએ કારગિલના પર્વતના સૌથી ઊંચા શિખર પરથી પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢી હતી અને પર્વત પર કબજો કરી લીધો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ કારગિલ દિવસે ટ્વીટ કરીને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાને શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે કારગિલ વિજય એ મા ભારતીની આન-બાન અને શાનનું પ્રતીક છે. આ અવસરે માતૃભૂમિની રક્ષણાર્થે પરાક્રમ કરનારા દેશના સાહસિક સપૂતોને મારા શત-શત નમન. જય હિંદ.

દિલ્હીમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કારગિલ દિવસના પ્રસંગે 1999ના કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોને ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સંયુક્ત થિયેટર કમાંડની પણ સ્થાપના કરી હતી, જેથી સશસ્ત્ર દળોની ત્રણ સર્વિસીસ વચ્ચે તાલમેલ વધારી શકાય.

જમ્મુમાં કારગિલ વિજય દિવસના કાર્યક્રમમાં સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર પણ (POK) પણ ભારતનું અભિન્ન અંગ હતું અને રહેશે. અમે pok પર સંસદમાં ઠરાવ કરવા પ્રતિબદ્ધ છીએ. તેમણે સવાલ કર્યો હતો કે બાબા અમરનાથ ભારતમાં છે અને મા શારદા શક્તિ લાઇન ઓફ કન્ટ્રોલની પેલી બાજુ છે.

આજના દિવસે ભારતે પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો, પણ કારગિલ યુદ્ધમાં 500થી વધુ ભારતીય સૈનિકોનાં મોત થયાં હતાં.