ટ્રેનોમાં ખાદ્યપદાર્થોની યાદી ગ્રાહકલક્ષી બનાવાશે

મુંબઈઃ રેલવે બોર્ડે કેટરિંગ અને પર્યટન બાબતોને લગતી તેની પેટા-કંપની  IRCTCને ટ્રેનોમાં પ્રવાસીઓને પીરસવામાં આવતા ભોજનની યાદીને ગ્રાહકોને અનુકૂળ હોય એવી બનાવવાની (કસ્ટમાઈઝ કરવાની) છૂટ આપી છે. આને લીધે IRCTC હવે સ્થાનિક તથા પ્રાદેશિક સ્તરે લોકપ્રિય વાનગીઓને તેની યાદીમાં સામેલ કરી શકશે, તે ઉપરાંત ડાયાબિટીસનાં દર્દીઓ, નવજાત શિશુઓ અને સ્વાસ્થ્યપ્રેમીઓને માફક આવે એવા ખાદ્યપદાર્થોને પણ યાદીમાં સામેલ કરવામાં આવશે.

ટ્રેનોમાં અપાતી કેટરિંગની સેવાઓને સુધારવા તથા પ્રવાસીઓને ભોજન/ખાદ્યપદાર્થોની બાબતમાં વધારે વિકલ્પો પૂરા પાડવાના હેતુ સાથે રેલવે બોર્ડે આ નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે પ્રીમિયમ અને મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં સફર કરનાર પ્રવાસીઓને પીરસવામાં આવતા ભોજનની યાદી નક્કી કરવાની IRCTC ને અતિરિક્ત જવાબદારી આપી છે. આને પગલે IRCTC કંપનીએ ટ્રેનોમાં તેમજ સ્ટેશનો પર તેની કેટરિંગ સેવાઓની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.