તમામ બેન્ક ખાતાઓને ‘આધાર નંબર’ સાથે જોડવાની સૂચના

મુંબઈઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે બેન્કોને 31 માર્ચ, 2021 સુધી બધાં ખાતાઓને સંબંધિત ગ્રાહકોના આધાર કાર્ડથી જોડવા માટે નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે નાણાકીય સમાવેશીકરણ હજી પૂરું નથી થયું. હજી આગળ વધારવાનું બાકી છે. કેટલાંય એવાં ખાતાં છે, જે અત્યાર સુધી આધારથી નથી જોડાયેલાં.

ઇન્ડિયન બેન્ક એસોસિયેશન (IBA)ની 73મી સામાન્ય બેઠકને સંબોધિત કરતાં સીતારામને કહ્યું હતું કે પ્રત્યેક ખાતાને 31 માર્ચ, 2021 સુધી આધાર કાર્ડથી જોડવાં જોઈએ અને જ્યાં જરૂરી તથા લાગુ પડતું હોય ત્યાં પેન (PAN)થી પણ એને જોડવું જોઈએ.

બેન્કોએ ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહિત અને અન્ય રૂપે કરવામાં આવતી ચુકવણીને હતોત્સાહ કરવી જોઈએ. તેમણે UPI આધારિત ચુકવણીને અપનાવવા પર ભાર મૂક્યો હતો. નાણાપ્રધાને કહ્યું હતું કે UPI અમારી બધી બેન્કોમાં સામાન્ય વાતચીતનો શબ્દ હોવો જોઈએ. તેમણે રૂપે કાર્ડને પ્રોત્સાહન પર ભાર મૂકવો જોઈએ. જેને પણ કાર્ડની જરૂર હોય તેને માત્ર રૂપે કાર્ડ જારી કરો, એમ તેમણે કહ્યું હતું. તેમણે દેશ મોટી કદની બેન્કોને ભાર આપી રહી છે.