ચિત્તાની દરકારમાં બિનઅનુભવ ચિંતાનું મુખ્ય કારણઃ નિષ્ણાતો

ભોપાલઃ મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાનાં મોત સતત થઈ રહ્યાં છે, જેને કારણે સરકાર ચિંતામાં છે, પણ અત્યાર સુધી ચાર મહિનામાં આઠ ચિત્તાનાં મોત થયાં છે. કેટલાક નિષ્ણાતો આ મોતનું કારણ ચિત્તાને લગાવવામાં આવેલા હલકી ગણવત્તાના રેડિયો કોલરને માને છે. આ કોલર વાઘના હતાં, પણ ચિત્તાને લગાવવામાં આવ્યા છે. નિવૃત્ત IFoS અધિકારીઓ સહિત નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે કૂનો નેશનલ પાર્ક (KNP)માં પ્રોજેક્ટ ચિત્તાની ટીમે જવાબદારી બરાબર નથી નિભાવી.

વન્યજીવ નિષ્ણાતોનો તર્ક છે કે ચિત્તાની સંભાળ લેવા માટે બિનઅનુભવ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી છે. એક નિવૃત્ત અધિકારી કે જેઓ પ્રોજેક્ટથી સંકળાયેલા હતા, તેમણે કહ્યું હતું કે જે લોકો ચિત્તા પ્રોટોકોલ મુજબમ દેખરેખ રાખી રહ્યા છે, તેમનામાં ચિત્તાને સંભાળવાનો અનુભવ જ નથી.

ચિત્તા ટાસ્ક ફોર્સ સમિતિના અધિકારીએ કહ્યું હતું કે ચિત્તા સમિતિમાં વારંવાર થતા ફેરફારને લીધે ચિત્તાની માવજત કરનારા નિષ્ણાતોનો અભાવ છે. આ એક નરી વાસ્તવિકતા છે. અમારી પાસે વાઘની દેખરેખ રાખવા માટે અનુભવ છે. હું સિનિયર અધિકારીઓ સામે સવાલ નથી ઉઠાવતો, પરંતુ જે લોકોને ચિત્તાની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી- તેમને વાઘની દરકાર રાખવાનો પણ અનુભવ નહોતો. પ્રાણીઓના વ્યવહારને સમજવા એમને સંભાળવા માટે મહત્ત્વનું અને પ્રાથમિક કાર્ય છે. જોકે તેમને કૂનોમાં તાલીમ આપવામાં આવી હતી.   જોકે હવે કૂનો ટીમે ચિત્તાઓના ગળા પર લાગેલા રેડિયો કોલરને દૂર કરવાનું શરૂ કરી દીધું છે, એમ તેમણે કહ્યું હતું.